ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર છે. માન્ચેસ્ટરમાં હવામાન અનુકૂળ બન્યું છે. હવામાન સાફ બનવા સાથે સૂરજ દેખાઇ રહ્યો છે. જેથી આજે (10 જુલાઇ) ફરી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રોકાયેલ સેમીફાઇનલ મેચ યોજાશે. આપને જણાવીએ કે, માન્ચેસ્ટરમાં મંગળવારે (9 જુલાઇ) વરસાદને કારણે સેમીફાઇનલ મેચ રોકવી પડી હતી. વરસાદને કારણે મેચ પૂર્ણ થઇ શકી નહોતી. મંગળવારે જ્યાં મેચ પૂર્ણ થઇ હતી ત્યાંથી આજે બુધવારે ફરી મેચ શરૂ થશે.
આપને જણાવીએ કે, મંગળવારે (9 જુલાઇ) એ ભારત અને ન્યૂઝીલેન્ડની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા, 46.1 ઓવરને અંતે 5 વિકેટના નુકશાને 211 રન બનાવ્યા હતા. મેચની 46.1 ઓવરમાં વરસાદના વિઘ્નને પગલે મેચ રોકવી પડી હતી. ત્યારે આજે ફરી મેચ શરૂ થશે. સૂત્રો જણાવી રહ્યા છે કે, માન્ચેસ્ટરમાં આજે હવામાન સાફ છે. અને થોડા વાદળો બની રહેશે. આજે (10 જુલાઇ) એ મેચ ફરી ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગે શરૂ થશે. જોકે, આ સાથે ઘણી સંભાવનાઓ પણ રહેલી છે આવો અહીં સમજીએ.
આજે વાતાવરણ સારું રહ્યું તો...
આજે વાતાવરણ સારું રહેશે તો ન્યૂઝીલેન્ડ મંગળવારના સ્કોરથી આગળ રમશે. આ રીતે મેચ ૫૦-૫૦ ઓવરની થશે અને ભારત માટે સારી સ્થિતિ રહેશે. કારણ કે મેચમાં ટીમ ઇન્ડિયાની મજબુત પકડ છે.
આજે વરસાદ પડશે તો ઓવર ઘટશે
જો આજે પણ વરસાદ વિઘ્ન બનશે અને વધારે વરસાદ પડશે તો ભારત સામે ડકવર્થ લુઇસ નિયમ મુજબ સંશોધિત ટાર્ગેટ હશે. ICC ના નિયમ અનુસાર આ મેચમાં પરિણામ ફક્ત ત્યારે મળશે જયારે બેટિંગ ટીમ (આ કેસમાં ભારત) ઓછામાં ઓછો ૨૦ ઓવર રમે.
જો વધુ વરસાદ હશે તો ભારત સામે આ ટાર્ગેટ રહેશે
જો આજે ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ શરુ થતી નથી ( વધારે સમય વરસાદ રહ્યો તો) ભારતને ઓછામાં ઓછી ૨૦ ઓવર સુધી રમવું પડશે. ડકવર્થ લુઇસ નિયમ અનુસાર ભારત સામે આ ટાર્ગેટ હોઈ શકે છે. ૨૦ ઓવરમાં ભારતને ૧૪૮ રન સંશોધિત ટાર્ગેટ મળશે. જો ભારતીય ઇનિંગ્સ ૨૫ ઓવર સુધી રમી શકે તો ૧૭૨ રનનો સ્કોર કરવો પડશે. આવી જ રીતે ૩૦ ઓવરમાં ૧૯૨ રનનો ટાર્ગેટ. જો ટીમ ઇન્ડિયા ૩૫ ઓવર સુધી બેટિંગ કરશે તો જીત માટે ૨૦૯ રન ફટકારવા પડશે. ૪૦ ઓવરમા જીત માટે ૨૨૩ અને ૪૬ ઓવરમાં ૨૩૭ રન ફટકારવા પડશે.
વરસાદને કારણે આજની મેચ નહિ રમાય તો ભારત હશે ફાઈનલમાં
આજની મેચનું પરિણામ ત્યારે જ મળશે જ્યારે ભારત ઓછામાં ઓછી ૨૦ ઓવર રમે. જો વધારે વરસાદ પડશે અને મેચ નહિ રમાય તો અહિયાં લીગ સ્ટેજમાં બંને ટીમના પરફોર્મન્સ દ્વારા નક્કી કરવામાં આવશે. આવી પરિસ્થિતીમાં ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પ્રવેશ કરશે કેમ કે લીગ સ્ટેજમાં ભારતના ૧૫ પોઈન્ટ છે અને ન્યુઝીલેન્ડના ૧૧ પોઈન્ટ છે. જ્યારે આ અગાઉ વર્લ્ડકપમાં આ બંને ટીમ વચ્ચેનો મુકાબલો વરસાદના કારણે રોકાઈ ગયો હતો અને બને ટીમને ૧-૧ પોઈન્ટ મળ્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વિશ્વ કપ 2019ની સેમીપાઇનલમાં વરસાદના વિઘ્ન બાદ મેચ પૂર્ણ થઇ શકી નહોતી. ત્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ શેન જર્ગેનસેને કહ્યું છે કે, તેમના બોલર ભારતીય બેટિંગના મીડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દેશે. ન્યૂઝીલેન્ડના બોલર કોચનું આ નિવેદન બાદમાં વાઇરલ થઇ ગયું છે. બુધવારે 23 બોલ બાદ ભારતીય બેટ્સમેન બેટિંગ શરૂ કરશે. એવામાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડના બોલર ઝટકો આપવાના કોશિશ કરશે. જેથી મીડલ ઓર્ડર પર પ્રેશર બનાવી શકાય.