ટેસ્ટ અને ટી-20 શ્રેણીમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યા બાદ હવે ભારતીય ટીમ વન-ડે શ્રેણીમાં ઇંગ્લેન્ડને પરાજય આપવા માટે સજ્જ થઈ ગઈ છે. વન-ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડ પણ પોતાની આબરૂ બચાવવા એડીચોટીનું જોર લગાવશે.
ઈંગ્લેન્ડ સામે વન ડે શ્રેણી માટે ટીમ પુણે પહોંચી
ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ૨૯ વર્ષથી દ્વિપક્ષી વન ડે શ્રેણી હારી નથી
ટેસ્ટ અને ટી-20 શ્રેણી બાદ વન-ડે શ્રેણીમાં અંગ્રેજોને પરાજય આપવા ઉતરશે ટીમ ઈન્ડિયા
પૂણેમાં રમાશે પ્રથમ 3 વન-ડે
ટી-૨૦ શ્રેણી ૩-૨થી જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામે વન ડે શ્રેણી માટે પુણે પહોંચી ગઈ છે. શ્રેણીની ત્રણ મેચ તા. ૨૩, ૨૬ અને ૨૮ માર્ચે પુણેમાં રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ અને ટી-20 શ્રેણીમાં પ્રભુત્વસભર વિજય મેળવી ચૂકી છે. ઘરઆંગણે રમાઈ રહેલી શ્રેણીમાં ભારતીય ટીમ આત્મવિશ્વાસ સાથે રમવા ઉતરશે તો સામે ઈંગ્લેન્ડ પણ પોતાની વધેલી આબરૂ બચાવવા મેદાને ઉતરશે. ટીમ ઇન્ડિયા પોતાના ઘરમાં ઈંગ્લેન્ડ સામે ૨૯ વર્ષથી દ્વિપક્ષી વન ડે શ્રેણી હારી નથી. છેલ્લે ઈંગ્લેન્ડે ડિસેમ્બર-૧૯૮૪માં ૪-૧થી શ્રેણી જીતી હતી. ભારતીય ટીમ પાસે ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી શ્રેણી જીતવાની તક છે. ટીમ ઇન્ડિયાએ ભારતમાં માર્ચ-૨૦૦૬માં ઈંગ્લેન્ડને ૫-૧થી વન ડે શ્રેણીમાં શિકસ્ત આપી હતી. ત્યાર બાદથી ઇંગ્લિશ ટીમ સામે સતત પાંચ વન ડે શ્રેણી જીતી છે. બંને ટીમ ચાર વર્ષ બાદ ભારતની ધરતી પર એક બીજા સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાએ જાન્યુઆરી-૨૦૧૭માં ભારતમાં ઈંગ્લેન્ડને વન ડે શ્રેણીમાં ૨-૧થી પરાજય આપ્યો હતો.
આ વર્ષની પ્રથમ વન-ડે શ્રેણી
ગયા વર્ષે લોકડાઉનના કારણે પ્રમાણમાં ઓછું ક્રિકેટ રમાયું હતું. ટીમ ઇન્ડિયાની ૨૦૨૧ના વર્ષની આ પ્રથમ વન ડે શ્રેણી છે. ગયા વર્ષે રમાયેલી છેલ્લી બે શ્રેણીમાં ભારતનો પરાજય થયો હતો. ફેબ્રુઆરી-૨૦૨૦માં ન્યૂઝીલેન્ડ સામે અને નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા હારી હતી. ઘરઆંગણે ભારતીય ટીમે છેલ્લી બે શ્રેણી જીતી છે. ભારતે ડિસેમ્બર-૨૦૧૯માં વિન્ડીઝ અને જાન્યુઆરી-૨૦૨૦માં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. ઈંગ્લેન્ડ સામે અત્યાર સુધીમાં કુલ સાત ભારતીય બેટ્સમેનોએ ૧૦૦૦થી વધુ રન બનાવ્યા છે. આમાં વર્તમાન ટીમમાંથી વિરાટ કોહલી જ એક માત્ર એવો ખેલાડી છે, જેણે ઈંગ્લેન્ડ સામે ૩૦ વન ડેમાં ૪૫.૩૦ની સરેરાશથી ૧૧૭૮ રન બનાવ્યા છે. કોહલી ઈંગ્લેન્ડ સામે ત્રણ સદી ફટકારનારા યુવરાજસિંહ (ચાર સદી) બાદ બીજો ભારતીય છે. ઈંગ્લેન્ડ સામે કુલ રનના મામલામાં મહેન્દ્રસિંહ ધોની (૧૫૪૬ રન) ટોચના સ્થાને છે.
વર્તમાન ટીમમાં કોહલી બાદ રોહિત શર્માનું નામ આવે છે, જેણે ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ૪૪૫ રન બનાવ્યા છે. રોહિતે અંગ્રેજો સામે બે સદી પણ ફટકારી છે. બેસ્ટ સ્કોરરમાં રોહિત અણનમ ૧૩૭ રન સાથે બીજો ભારતીય છે. ઈંગ્લેન્ડ સામે યુવરાજ વન ડેમાં ૧૫૦ રનનો સ્કોર નોંધાવનારો ભારતીય છે.
શ્રેણી જીતવા ભારત હોટ-ફેવરિટ
ભારતીય બેટ્સમેનો અને બોલરોનું શાનદાર ફોર્મ જોતાં વન-ડે શ્રેણીમાં પણ ભારતીય ટીમને જીતવા માટે હોટ ફેવરિટ માનવામાં આવ રહી છે. તો સામે સમગ્ર પ્રવાસ દરમિયાન ઇંગ્લિશ બેટ્સમેનોએ સ્પિન બોલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા.
હેડ ટુ હેડ
• બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં ૧૮ દ્વિપક્ષીય વન ડે શ્રેણી રમાઈ છે, જેમાં ભારતે નવ જીતી છે અને સાત શ્રેણીમાં હારનો સામનો કર્યો છે. સાત શ્રેણી ડ્રો રહી છે.
• ભારતમાં બંને ટીમ વચ્ચે નવ દ્વિપક્ષી શ્રેણી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ છ અને ઈંગ્લેન્ડે એક શ્રેણી જીતી છે. બે શ્રેણી ડ્રો રહી છે.
• ટીમ ઇન્ડિયા ભારતની ધરતી પર ૪૮ વન ડે રમી છે, જેમાં ૩૧માં જીત મેળવી છે અને ૧૬ વન ડેમાં હારનો સામનો કરવો પડ્યો છે, એક મેચ ટાઇ રહી છે.
• ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ નંબર-વન બનવાની તકઃ જો ટીમ ઈન્ડિયા ૩-૦થી શ્રેણી જશે તો આઇસીસી વન ડે રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી જશે. હાલ ઈંગ્લેન્ડ ૧૨૩ પોઇન્ટ સાથે ટોચના સ્થાન પર છે. બીજા સ્થાન પર રહેલી ટીમ ઇન્ડિયાના ૧૧૭ પોઇન્ટ છે.
ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ મહત્વની રહેશે. ચાહકોને પણ છેલ્લા કેટલાક સમયથી ભરપૂર મનોરંજન મળી રહ્યું છે. આવનાર સમયમાં બંને ટીમોમાંથી કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેશે.