પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ હવે બીજી ટેસ્ટ માટેની અંતિમ ઈલેવનમાં ધરખમ ફેરફાર કરી શકે છે અને આ ફેરફારના સંકેત પ્રેક્ટિસ સેશન પરથી મળ્યા છે.
શુભમન અને મયંક અગ્રવાલની થઈ શકે છે એન્ટ્રી
પૃથ્વી શોને ટીમમાંથી બતાવી શકાય છે બહારનો રસ્તો
હનુમા વિહારીના સ્થાને જાડેજાનું બીજી ટેસ્ટમાં રમવું નિશ્ચિત છે
પ્રથમ ટેસ્ટમાં શરમજનક પરાજય બાદ ટીમ મેનેજમેન્ટ આવતી કાલથી ભારતીય સમય પ્રમાણે સવારે ૫.૦૦ વાગ્યાથી અહીં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ માટેની અંતિમ ઈલેવનમાં ધરખમ ફેરફાર કરી શકે છે અને આ ફેરફારના સંકેત પ્રેક્ટિસ સેશન પરથી મળ્યા છે. ભારતીય ટીમ કાર્યકારી કેપ્ટન અજિંક્ય રહાણે સાથે નેટ્સમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. શુભમન ગિલ નેટ્સમાં સખત પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. પ્રેક્ટિસ મેચમાં પિન્ક બોલથી ૪૩ અને ૬૫ રનની ઇનિંગ્સ રમવા છતાં ગિલને પ્રથમ ટેસ્ટમાં તક મળી નહોતી. હવે શુભમને મયંક અગ્રવાલ સાથે પ્રેક્ટિસ કરી, જેના પરથી સંકેત મળે છે કે આ બંને બીજી ટેસ્ટમાં ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળશે. રણજી ટ્રોફીમાં પંજાબ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરતા ગિલને કંગાળ ફોર્મમાં રમી રહેલા પૃથ્વી શોના સ્થાને ટીમમાં સ્થાન મળશે. આ ઉપરાંત કે. એલ. રાહુલે પણ નેટ્સમાં ઘણો સમય વિતાવ્યો હતો.
માથામાં ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહેલાે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ નેટ્સમાં ઊતર્યો હતો. તેણે એક કલાક પ્રેક્ટિસ કરી. તેણે સૌરાષ્ટ્ર્ના પોતાના સાથી ચેતેશ્વર પૂજારા સામે બોલિંગ પ્રેક્ટિસ કરી હતી. ત્યાર બાદ તે ફરી વાર બીજા પ્રેક્ટિસ સેશનમાં પણ જોવા મળ્યો હતો. આજે જાડેજાએ બીજો ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહેનાર હનુમા વિહારીના સ્થાને જાડેજાનું બીજી ટેસ્ટમાં રમવું નિશ્ચિત છે.
પ્રેક્ટિસ સેશનની શરૂઆતમાં હેડ કોચ રવિ શાસ્ત્રીએ ખેલાડીઓ સાથે વાત કરી હતી. બીસીસીઆઇએ ટ્વિટર પર લખ્યું, ''અમે મેલબર્નમાં છીએ અને લાલ બોલથી ટેસ્ટ શરૂ થવાની છે. આ મળીને તૈયારી કરવાનો સમય છે. હેશટેગ ટીમ ઇન્ડિયા.'' કોચ શાસ્ત્રીએ વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત સાથે પણ ઘણો સમય વિતાવ્યો હતો. પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં નિષ્ફળ રહેલા રિદ્ધિમાન સાહાના સ્થાને પ્રેક્ટિસ મેચમાં ૭૩ બોલમાં ૧૦૩ રન ફટકારનાર ઋષભ પંતને અંતિમ ઈલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા છે. પ્રેક્ટિસ સેશનમાં પણ પંતને રિદ્ધિમાન સાહાની પહેલાં પ્રેક્ટિસ માટે તક અપાઈ હતી.
મોહંમદ શમી કાંડાના ફ્રેક્ચરને કારણે ઓસી. સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શમીના સ્થાને મોહંમદ સિરાઝ અને નવદીપ સૈનીમાંથી કોઈ એકને તક મળે તેવું લાગે છે.