સ્વિસ બેંકમાં કયા ભારતીયોના બેંક ખાતા છે, તે બાબતની આજે યાદી જાહેર કરવામાં આવશે. સ્વિત્ઝરલેન્ડમાં બેંક ખાતા રાખનારા ભારતીય નાગરિકોની જાણકારી આજથી ટેક્સ અધિકારીઓ પાસે મળી રહેશે.
વીતેલા 5 વર્ષોમાં મોદી સરકારે બ્લેક મની પર લગામ લગાવવા માટે નોટબંધી અને બેનામી પ્રોપર્ટી સાથે જોડાયેલા અનેક મહત્વના નિર્ણયો લીધા છે. હવે સરકારે અન્ય પગલું લીધું છે જેમાં બ્લેકમનીને લઈને જે ન્યૂઝ આવી રહ્યા છે તે થોડી રાહત આપનારા છે. જો કે હવે સ્વિસ બેંકોમાં કયા ભારતીયોના બેંક ખાતા છે તેની યાદી હવે જાહેર કરવામાં આવશે. અને સાથે જ તેની જાણ ટેક્સ અધિકારીઓને પણ રહેશે.
આ પગલાંને લઈને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT - Central Direct Tax Board)એ કહ્યું કે કાળા નાણાંની વિરુદ્ધમાં સરકારની લડાઈમાં મહત્વનું પગલું છે. અને સાથે સ્વિસ બેંકની ગોપનીયતાનો યુગ આખરે સપ્ટેમ્બરથી પૂરો થશે. સીબીડીટી ટેક્સ વિભાગે જણાવ્યું કે ભારતને સ્વિત્ઝરલેન્ડમાં ભારતીય નાગરિકોના વર્ષ 2018માં બંધ કરેલા ખાતાની જાણકારી પણ મળશે.
સીબીડીટીનું કહેવું છે કે સૂચના આદાન-પ્રદાનની આ વ્યવસ્થા શરૂ થતાં પહેલાં ભારત આવેલા સ્વિત્ઝરલેન્ડના એક પ્રતિનિધિમંડળના રાજસ્વ સચિવ એબી પાંડેય, બોર્ડના ચેરમેન પીસી મોદી અને બોર્ડના સદસ્ય અખિલેશ રંજન સાથે બેઠક થઈ હતી. 29-30 ઓગસ્ટની વચ્ચે આવેલા આ પ્રતિનિધિમંડળની આગેવાની સ્વિટ્ઝર્લેન્ડના આંતરરાષ્ટ્રીય નાણાંકીય મામલાઓના રાજ્ય સચિવાલયમાં કર વિભાગમાં ઉપપ્રમુખ નિકોલસ મારિયોએ કરી હતી.
કેટલું છે બ્લેક મની?
આ વર્ષે લોકસભામાં જૂન મહિનામાં નાણાં પર સ્ટેન્ડિંગ કમિટીનો એક રિપોર્ટ રજૂ કરાયો હતો. જેના મુજબ વર્ષ 1980થી વર્ષ 2010ની વચ્ચે 30 વર્ષ દરમ્યાન ભારતીયો દ્વારા આશરે 246.48 અબજ ડોલર એટલે કે આશરે 17,25,300 કરોડ રૂપિયાથી લઈને 490 અબજ ડોલર એટલે કે 34,30,3000 કરોડ રૂપિયાની વચ્ચે કાળું નાણું દેશની બહાર મોકલાયું છે.