કોલકાતા: વિરાટ કોહલીની ટીમે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ રમવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેને જાણ હતી કે જો તેઓ એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ રમ્યા હોત તો તેમનો પરાજય નિશ્ચિત જ હતો, જેના કારણે ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયામાં પ્રથમ શ્રેણી જીતવાની સંભાવનાઓ ધૂંધળી બની જાત. એ સમયે ભારતે વોર્નર અને સ્મિથની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને પહેલી વાર ઓસ્ટ્રેલિયામાં 2-1થી ટેસ્ટ શ્રેણી જીતી હતી. હવે સૌરવ ગાંગુલી બીસીસીઆઇનો અધ્યક્ષ બનતાં જ ટીમ ઇન્ડિયાને ઘરઆંગણે ડે-નાઇટ ટેસ્ટ રમવાની ફરજ પડી.
વિરાટ કોહલીની ટીમે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ રમવાનો ઇનકાર કર્યો હતો
ભારતીય ટીમ શુક્રવારથી બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમશે
ભારતીય ટીમ શુક્રવારથી બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમશે. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ભારત ૧-૦થી આગળ છે, પરંતુ પિન્ક બોલથી ટીમ ઇન્ડિયા શું કરશે એ કોઈ જાણતું નથી. આઇસીસી ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી ભારતીય ટીમે ઘરેલુ પરિસ્થિતિઓમાં પહેલી વાર પડકાર મળવાની શક્યતા છે. આવું એટલા માટે, કારણ કે વિશ્વમાં અત્યાર સુધી રમાયેલી 11 ડે-નાઇટ ટેસ્ટમાંથી છ મેચ પૂરા પાંચ દિવસ સુધી રમાઈ શકી નથી.
ફાસ્ટ બોલરને ઘણી સફળતા મળે છે
આના પરથી સ્પષ્ટ થાય છે કે ડે-નાઇટ ટેસ્ટમાં બોલર્સને- ખાસ કરીને ફાસ્ટ બોલરને ઘણી સફળતા મળે છે. એ જ કારણ છે કે ભારતીય ટીમ માટે કોલકાતામાં ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે.