અમદાવાદ અને કોલકાતામાં વિન્ડીઝ સામે રમાયેલી વન ડે ટી-૨૦ શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા હવે પોતાના નવા મિશન તરફ આગળ વધી ચૂકી છે.
ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો પ્રથમ મુકાબલો
ટીમમાં ભારત તરફથી ઓલરાઉન્ડર ફૌજ
ટીમમાં રવીન્દ્ર જાડેજા, સંજુ સેમસનની વાપસી
ટીમ ઇન્ડિયા હવે શ્રીલંકા સામે ત્રણ ટી-૨૦ મુકાબલાની શરૂઆત કરવા માટે નવાબોના શહેર લખનૌ પહોંચી ગઈ છે. અહીં ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીનો પ્રથમ મુકાબલો ૨૪ ફેબ્રુઆરી રમાવાનો છે. ત્યાર બાદની બંને મેચ ધર્મશાલામાં રમાશે. ટીમ ઇન્ડિયા ગઈ કાલે સાંજે લખનૌ પહોંચી. ટીમ હોટલ હયાતમાં રોકાઈ છે, જ્યારે શ્રીલંકાની ટીમ આજે લખનૌ પહોંચી જશે. શ્રીલંકાની ટીમ માટે તાજ હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ટીમ બે દિવસ ક્વોરન્ટાઇનમાં રહેશે.
ટીમ ઇન્ડિયા પહોંચી લખનૌ
બીસીસીઆઇએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરતાં જાણકારી આપી છે કે ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામેની શ્રેણીની શરૂઆત કરવા માટે લખનૌ પહોંચી ગઈ છે. વિન્ડીઝ સામે કોલકાતામાં રમાયેલી ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ટીમ ઇન્ડિયાએ ૩-૦થી પોતાના નામે કરી લીધી હતી. ભારતીય ટીમ આગામી ઓક્ટોબરમાં રમાનારા ટી-૨૦ વિશ્વકપ પહેલાં યુવા ખેલાડીઓને તક આપવાના પક્ષમાં છે. ટીમ ઇન્ડિયાએ વિન્ડીઝ સામે રવિ બિશ્નોઈ અને આવેશ ખાનને ડેબ્યૂ કરવાની તક આપી હતી, જ્યારે ઋતુરાજ ગાયકવાડને પણ અંતિમ ટી-૨૦માં મેદાનમાં ઉતાર્યો હતો.
ઓલરાઉન્ડરની ફૌજ મળી જોવા
શ્રીલંકા સામે ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને વધુ પસંદ કરવામાં આવ્યા છે. ટી-૨૦ ટીમમાં ભારત તરફથી ઓલરાઉન્ડરની ફૌજ નજરે પડી રહી છે. આ ટીમમાં રવીન્દ્ર જાડેજા, સંજુ સેમસનની વાપસી થઈ છે અને સાથે સાથે દીપક હુડ્ડાને પણ તક આપવામાં આવી છે. સ્પિન ડિપાર્ટમેન્ટની જવાબદારી કુલદીપ યાદવની સાથે યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈ સંભાળશે. વેંકટેશ ઐયર પણ ટી-૨૦ ફોર્મેટમાં પોતાની અલગ ઓળખ બનાવતો નજરે પડી રહ્યો છે.
તા. ૨૩ ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન છે. આ કારણથી લખનૌમાં રમાનાર પ્રથમ ટી-મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સચિવ પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું છે કે, ''બીસીસીઆઇ તરફથી મળેલા નિર્દેશો અનુસાર ૨૪ ફેબ્રુઆરીનાે મુકાબલો દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે.'' આ ઉપરાંત કોરોનાને કારણે સ્થાનિક બોલર્સને નેટ્સમાં બોલિંગ કરવાની તક આ વખતે નહીં મળે. ખેલાડી પણ બાયો બબલમાં રહેશે.
ધર્મશાલાની બંને મેચમાં ૫૦ ટકા દર્શકોને એન્ટ્રી
ધર્મશાલામાં ૨૬ અને ૨૭ ફેબ્રુઆરીએ રમાનાર બીજી અને ત્રીજી ટી-૨૦ મેચ દરમિયાન સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા દર્શકોને એન્ટ્રી મળશે. આ મેચ માટે ગત શનિવારથી ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. ૭૫૦ રૂપિયાવાળી બધી ટિકિટ એક જ દિવસમાં વેચાઈ ચૂકી છે.