ભારતમાં ફરીથી મુંબઈ જેવો હુમલો કરીને તબાહી મચાવવાનું પાકિસ્તાની આતંકવાદીઓ કાવતરું ભારતના વીર બહાદુર સૈનિકોએ વિફળ કરી દીધું છે ત્યારે સરકાર પણ પાકિસ્તાન પર કડક વલણ અપનાવી રહી છે.
ભારતમાં આતંકવાદીઓ મોટી તબાહી મચાવવાના ઈરાદાથી આવ્યા હતા
જમ્મૂ કાશ્મીરના નગરોટામાં પાકિસ્તાની આતંકવાદીઓના ષડ્યંત્રનો પર્દાફાશ થયો અને ભારતીય સેનાએ ચાર આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા. જોકે પાકિસ્તાની આતંકવાદી હજુ પણ આવી હરકતો કરી શકે છે જેની ગંભીરતાને જોતા ભારત સરકાર પણ એક્શનમાં આવી છે.
સુરક્ષાને લઈને વિવિધ પગલાં
વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાની હાઈકમીશનના અધિકારીને સમન્સ આપવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનને ફટકારતા કહ્યું કે પાકિસ્તાની તેની જમીન પર આતંકવાદીઓને પાળવાનું બંધ કરે.ANIના સૂત્રો અનુસાર ભારત સરકાર સુરક્ષાને લઈને વિવિધ પગલાંઓ ઉઠાવી રહી છે.
નોંધનીય છે કે જે આતંકવાદીઓને મારવામાં આવ્યા છે તેમની પાસેથી પાકિસ્તાની ચીજ વસ્તુઓ મળી આવી છે. આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદથી જોડાયેલા હતા અને અથડામણ બાદની તપાસમાં વિવિધ મોટી માહિતીઓ સામે આવી રહી છે.
નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ આ મુદ્દે જ હાઈલેવલ બેઠક યોજી હતી. પીએમ મોદીએ આ બેઠક બાદ કહ્યું હતું કે ભારતની સેનાએ મોટી તબાહી મચાવનાર પ્રયત્નોને વિફળ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા સુરક્ષા દળોએ ફરીવાર બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. નોંધનીય છે કે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને અજિત ડોભાલ સહીતના અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.