ઉદ્યોગ જગતનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં દેશનો આર્થિક વૃદ્ધિદર (જીડીપી) ૧૦ ટકા સુધી પહોંચી જશે અને ભારત આ વર્ષે જ બ્રિટનને પાછળ રાખીને દુનિયાનું પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)એ ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસદર સાત ટકાથી લઇને ૭.૪ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધી આર્થિક વિકાસદર ૧૦ ટકાને આંબી જશે એવું જણાવ્યું છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારની બીજી ઇનિંગ્સ હવે પ્રચંડ જનાદેશ સાથે શરૂ થઇ ગઇ છે. ઉદ્યોગ જગતનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં દેશનો આર્થિક વૃદ્ધિદર (જીડીપી) ૧૦ ટકા સુધી પહોંચી જશે અને ભારત આ વર્ષે જ બ્રિટનને પાછળ રાખીને દુનિયાનું પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)એ ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસદર સાત ટકાથી લઇને ૭.૪ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ સુધી આર્થિક વિકાસદર ૧૦ ટકાને આંબી જશે એવું જણાવ્યું છે.
આ ઉપરાંત આઇએચએસ રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૫ સુધીમાં ભારત જાપાનને પાછળ રાખીને એશિયા-પેસિફિક રિજિયનમાં બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે અને દેશની જીડીપીનું કદ ૩૦૦૦ અબજ ડોલરને પાર નીકળી જશે. આમ, ૨૦૨૫ સુધીમાં ભારતનાં જીડીપીનું કદ જાપાનથી પણ વધી જશે. રિપોર્ટમાં જણાવાયું છે કે દુનિયાનાં મોટા અર્થતંત્રોનાં રેન્કિંગમાં ભારત સૌથી આગળ વધતુ રહેશે અને વૈશ્વિક જીડીપી ગ્રોથમાં પણ ભારતનું યોગદાન વધશે.
આ રીતે એશિયા-પેસિફિકમાં ભારત ગ્રોથ એન્જિન તરીકે ભૂમિકા ભજવશે. રિપોર્ટમાં જણાવાયું છે કે જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો અત્યારે ૧૮ ટકા છે, જ્યારે હવે લક્ષ્ય ૨૫ ટકાનો છે. આગામી બે દાયકા દરમિયાન ભારતના વર્કફોર્સમાં દર વર્ષે અંદાજિત ૭૫ લાખ લોકો જોડાશે. આઇએચએસએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તેના કારણે મોદી સરકાર પર મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંને પર રોજગાર ઊભા કરવાનું દબાણ રહેશે. સીઆઇઆઇનાં અધ્યક્ષ વિક્રમ કિર્લોસ્કરે જણાવ્યું છે કે ૨૦૨૩-૨૪ સુધી ભારતના જીડીપીને ૧૦ ટકા સુધી પહંચાડવા માટે રૂ. ૩૭૯ લાખ કરોડ (૫,૭૪૦ અબજ ડોલર)ની જરૂર પડશે.