ચીનના વિદેશમંત્રીએ ભારતને UNમાં વણમાંગી સલાહ આપતા કાશ્મીરનો મુદ્દો બંને પક્ષોની સહમતીથી ઉકેલવા માટે UNને અપીલ કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ બાબતનો ધારદાર જવાબ આપ્યો હતો,
ભારતે શનિવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ના કાશ્મીરને લગતા વિધાનનો સણસણતો જવાબ આપ્યો હતો.
શું કહ્યું ચીનના વિદેશ મંત્રીએ?
ચીનના વિદેશ મંત્રીએ UNમાં જણાવ્યું હતું કે કાશ્મીર એ એક જુનો વિવાદ છે. આ વિવાદને સંપૂર્ણપણે સાંભળીને અને સમજીને UNની સુરક્ષા સમિતિ અને તેના નિયમોનું પાલન થાય તે રીતે અને બંને દેશો સહમત હોય તેવી રીતે તેને સુલઝાવવો જોઈએ. કોઈ પણ એવું પગલું જે “સ્ટેટ્સ કવો” અર્થાત હાલની સ્થિતિને છંછેડે છે તે ન ભરવું જોઈએ. ચીન ભારત અને પાકિસ્તાનનું પાડોશી હોવાના નાતે આ વિવાદ શાંતિથી અને અસરકારક રીતે ઉકેલાય અને તે ક્ષેત્રમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપાય અને બંને દેશોના સંબંધો સુધરે તેવું ઈચ્છે છે.
અહી ઉલ્લેખનીય છે કે ચીને આ વિધાન ભારતે હાલમાં જ કલમ ૩૭૦ હટાવીને જમ્મુ કાશ્મીર રાજ્યનો વિશિષ્ટ દરજ્જો હટાવી લીધો તે સંદર્ભમાં આપ્યું હતું. ચીનએ પાકિસ્તાનનું મિત્ર રાષ્ટ્ર છે અને બંને દેશો અવારનવાર કાશ્મીર મુદ્દે ભારતને અંતરરાષ્ટ્રીય દબાણમાં લાવવાનો પ્રયત્ન કરે છે.
ભારતે શું જવાબ આપ્યો?
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ વિધાનને અત્યંત ગંભીરતાથી લઈને તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે કાશ્મીર અને લડાખ એ ભારતનાં અભિન્ન અંગો છે જે ચીન સારી રીતે જાણે છે. હાલમાં એ વિભાગોમાં લેવાઈ રહેલા નિર્ણયો એ સંપૂર્ણપણે દેશની આંતરિક બાબત છે. ચીને ભારતની અખંડીતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવાની જરૂર છે. ચીન ગેરકાયદેસર એવા POKમાંથી જે ચાઈના પાકિસ્તાન કોરીડોર બનાવવા જઈ રહ્યું છે તે સ્ટેટ્સ કવો અર્થાત હાલની સ્થિતિનો સંપૂર્ણ ભંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કલમ ૩૭૦ હટવાથી છંછેડાયેલા પાકિસ્તાને ભારત સાથેના ડીપ્લોમેટિક સંબંધો તોડી નાખ્યા છે. ભારતીય દૂતને ભારત પાછા મોકલી દેવાયા છે અને ઇમરાન ખાને ભારત વિરુદ્ધ હલાહલ ઝેર UNની મહાસભામાં ઓક્યું છે.