ભારતીય વાયુસેનાએ ગઇ કાલે ઇઝરાયલ સાથે ૧૦૦થી વધુ સ્પાઇસ બોમ્બ ખરીદવાની ડીલ સાઇન કરી છે. રૂ.૩૦૦ કરોડની કિંમતના ઇઝરાયલ પાસેથી આ બોમ્બ ખરીદાશે. ર૬ ફેબ્રુઆરીએ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહંમદના આતંકી ઠેકાણાંઓ પર એરસ્ટ્રાઇક દરમિયાન આ જ બોમ્બનો ઉપયોગ કરાયો હતો.
આ કરાર બાદ અત્યાધુનિક સ્પાઇસ બોમ્બનો જથ્થો ઇઝરાયેલ આવતા ત્રણ મહિનામાં ભારતને સોંપશે. આ ડીલ બાદ ભારતીય વાયુસેનાની તાકાત વધી જશે. સ્પાઇસ બોમ્બની ખાસિયત એ છે કે તેના દ્વારા સ્પષ્ટ નિશાન લગાવીને દુશ્મનને નેસ્તનાબૂદ કરી શકાય છે. સ્પાઇસ બોમ્બ ર,૦૦૦ બંકરોને સરળતાથી નષ્ટ કરી શકે છે. જે બોમ્બને ખરીદવાની યોજના બનાવાઇ રહી છે તે વોરહેડનો ઉપયોગ કરીને સરળતાથી બિલ્ડિંગને નષ્ટ કરી શકે છે.
થોડાં વર્ષો પહેલાં ભારતે ઈઝરાયલ પાસેથી સ્પાઇસ-ર૦૦૦ સ્માર્ટ બોમ્બના લગભગ ૧ર૦૦ યુનિટ ખરીદ્યાં હતાં. રિપોર્ટની વાત માનીએ તો સુખોઇ-૩૦ સાથે પહેલેથી જ આ બોમ્બનું ટ્રાયલ થયું છે. જૈશના આતંકીઓને ખતમ કરવા માટે સ્પાઇસ-ર૦૦૦ બોમ્બનો બાલાકોટમાં ઉપયોગ થયો હતો.
કેમકે આતંકીઓ બિલ્ડિંગની અંદર છુપાયેલા હતા. આ બોમ્બ પહેલાં કાણું પાડે છે અને પછી બિલ્ડિંગની અંદર એન્ટર થાય છે. ખુફિયા એજન્સીઓને જાણકારી મળી હતી કે લગભગ ૩૦૦ જૈશ આતંકી એક દિવસ પહેલાં જ બિલ્ડિંગમાં છુપાયા હતા. ત્યાર બાદ આ બોમ્બનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્પાઇસ બોમ્બ એક સ્પષ્ટ નિર્દેશિત બોમ્બ છે જે એક જીપીએસ ગાઇડન્સ કિટ સાથે લગાવાય છે.