કોરોનાની બીજી લહેરની વચ્ચે દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં ઝડપ લાવવા કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે વિદેશી વેક્સિનની આયાતમા ઝડપ આવશે.
બીજા દેશોમાં ઉત્પાદિત શ્રેષ્ઠ કક્ષાની વેક્સિન માટે હવે સ્થાનિક ટ્રાયલની જરુર નહીં
કેન્દ્ર સરકારે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે બીજા દેશોમાં ઉત્પાદિત શ્રેષ્ઠ કક્ષાની વેક્સિન માટે સ્થાનિક ટ્રાયલની અનિવાર્યતામાં છૂટ માટેના નિયમોમાં ફેરફાર કરાયો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું વહેલી તકે વેક્સિન આયાત માટે ફાઈઝરની સાથે વાતચીત ચાલી રહી છે તે ઉપરાંત જોન્સન એન્ડ જોનસન તથા મોડર્ના સાથે પણ વાત ચાલી રહી છે.
સ્થાનિક ટ્રાયલ પર ભાર મૂકવાના કારણે ફાઈઝર સાથેની વાતચીત અટકી પડી હતી.
ગયા મહિને ભારત સરકારે વિદેશી વેક્સિનના ફાસ્ટ ટ્રેક મંજૂરી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સ્થાનિક ટ્રાયલ પર ભાર મૂકવાના કારણે ફાઈઝર સાથેની વાતચીત અટકી પડી હતી. સરકારે આ પગલું એવે સમયે ભર્યું છે કે જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર થોડી શાંત પડ્યાં છતાં પણ દરરોજના 2 લાખ નવા કેસો નોંધાઈ રહ્યાં છે અને હજારો લોકોના મોત થઈ રહ્યાં છે.
હાલમાં ભારતમાં એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની તથા ભારતમાં બનેલી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન દ્વારા લોકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. રશિયાની સ્પુતનિકને પણ સરકાર મંજૂરી આપી ચુકી છે.
સરકારે જણાવ્યું કે કોઈ પણ વેક્સિન નિર્માતા કંપનીએ હજુ સુધી ભારતના ડ્રગ કન્ટ્રોલર નિયામક પાસે મંજૂરી માટે અરજી કરી નથી. નિવેદનમાં કહેવાયું કે અમે આંતરરાષ્ટ્રીય વેક્સિન નિર્માતાઓને ફરી અપીલ કરીએ છીએ કે આવો અને ભારતમાં વેક્સિન બનાવો, ભારત માટે અને દુનિયા માટે. દેશમાં 20 કરોડ કરતા વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે. જોકે અત્યાર સુધી તો ફક્ત 3 ટકા વસતીનું રસીકરણ થઈ શક્યું છે.