સંયુક્ત રાષ્ટ્રસંઘના એક્સપર્ટ્સે ભારતના કાયદાની ટીકા કરી હતી
સંયુક્ત રાષ્ટ્રસંઘના કેટલાક નિષ્ણાંતોએ ભારતના નવા આઈટી કાયદાની ટીકા કરી હતી અને ભારત પાસેથી આ સંદર્ભમાં ખુલાસો માંગ્યો હતો. જે પછી ભારત સરકારે યુએનને જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું કે સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગને કારણે સરકારને નવા આઈટી નિયમો લાગુ કરવાની ફરજ પડી છે.
ભારત સરકારે આ દલીલો આપી
ભારત સરકારે કહ્યું કે સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓની ભરતી, અશ્લીલ સામગ્રી, નાણાકીય ફ્રોડ, હિંસાને ઉત્તેજન આપવાની ઘણી ઘટનાઓ બની છે. તેથી અમને નવા નિયમો લાગુ પાડવાની ફરજ પડી છે. સરકારે કહ્યું કે નવા કાયદા દ્વારા યૂઝર્સને વધારે મજબૂત બનાવાયા છે તેમાં દુર્વવ્યહારનો ભોગ બનેલા લોકોને ફરિયાદ સાંભળવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સરકારે એવું પણ કહ્યું કે નવા નિયમો લાગુ પાડવાથી અભિવ્યક્તિની આઝાદીને નુકશાન પહોંચશે તેવો આરોપ ખોટો છે.
26 મેના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાંતોએ સોશિયલ મીડિયાના નવા નિયમોની ટીકા કરી હતી અને તેને આંતરાષ્ટ્રીય માપદંડોની વિપરીત ગણાવ્યાં હતા. યુએનના રિપોર્ટમાં આ નિયમોને અભિવ્યક્તિની આઝાદી પર પાબંધી તથા માનવાધિકારોનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું.
26 મેથી લાગુ પડ્યાં આ નિયમો
ભારતે સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘને જણાવ્યું કે દેશમાં ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ એન્ડ ડિઝિટીલ મીડિયા એથિક્સ કોડ રુલ્સ, 2021 (ન્યૂ આઈટી રૃલ્સ) તૈયાર કરાયા છે તેમાં 25 ફેબ્રુઆરી 2021 ના દિવસે અધિસૂચિત કરાયા છે અને 26 મેથી આ નિયમો અમલી બન્યાં છે.