ભારતે આજે અમેરિકી વિદેશ મંત્રાલયના રિપોર્ટને ફગાવી દીધો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં 2018માં સમગ્ર વર્ષ દરમિયાન લઘુમતી કોમ પર હિન્દુ સંગઠનોએ હુમલા કર્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમને અમારી ધર્મનિરપેક્ષતા પર ગર્વ છે.અમારો દેશ વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓના લોકોને એકજૂથ કરવામાં સક્ષમ છે.
અમેરિકી વિદેશ મંત્રાલયની ઈન્ડિયા 2018 ઈન્ટરનેશનલ રિલીજીયસ ફ્રીડમ રિપોર્ટને ભારતે ફગાવ્યો છે. આ રિપોર્ટ પર ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, એક વિદેશી સરકારે દેશના નાગરિકોને બંધારણ દ્વારા સંરક્ષિત અધિકારો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. રિપોર્ટ પ્રમાણે, મોદી સરકાર ધર્મ અને ગૌરક્ષાના નામે ભીડે કરેલા હુમલાઓને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
ગત વર્ષે લઘુમતી અને સરકારની ટીકા કરવાવાળા લોકો પર ઘણા હુમલાઓ કરાયા હતા. આ સાથે જ ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ ભડકાઉ ભાષણ આપ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ભારતને પોતાની ધર્મનિરપેક્ષતા પર ગર્વ છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતાંત્રિક દેશ છે. જે લાંબા સમયથી પોતાની સહિષ્ણુતા અને સમાવેશ માટે પ્રતિબદ્ધ છે. ભારતના બંધારણ તમામ નાગરિકોને તેમના મૂળભૂત અધિકારોની છૂટ આપે છે, જેમાં લઘુમતી કોમનો પણ સમાવેશ થાય છે.
આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે,ભારતના અંદાજે 24 રાજ્યોમાં ગૌવંશના વધ પર પ્રતિબંધ લગાવાયો છે. ગૌવધ અંગે ઓછામાં ઓછા 6 મહિના અને વધુમાં વધુ 2 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરાઈ છે. આ પ્રતિબંધની સૌથી મોટી અસર મુસ્લિમ સમાજને થઈ છે. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકો પર પણ આની વિપરીત અસર પડી છે.
આ મામલે વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું કે, 2015થી 2017 વચ્ચે ભારતમાં સાંપ્રદાયિક ઘટનાઓમાં 9%નો વધારો થયો છે. 2017માં આવી 822 ઘટનાઓમાં 111 લોકો મોતને ભેટ્યા હતા અને 2384 લોકો ઘાયલ થયા હતા. ધર્મના નામે હત્યાઓ, હુમલા અને ભેદભાવથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ રિપોર્ટમાં કઠુઆ રેપ અને અખલાકના મર્ડરનો પણ ઉલ્લેખ કરાયો છે. પરંતુ આ મામલે ભારતે અમેરિકાને સ્પષ્ટ જવાબ આપી દીધો છે.