દેશમાં નવરાત્રી આવી ગયા બાદ પણ વરસાદ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. કેટલાય રાજ્યોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે એ સમયે ભારતીય હવામાન ખાતાએ આ વર્ષના વરસાદના આશ્ચર્યજનક આંકડા રજુ કર્યા છે.
ભારત ૧૯૯૪ પછીનું સૌથી “ભીનું” ચોમાસું અનુભવી રહ્યું છે. ભારતીય હવામાન ખાતાના આંકડાઓ મુજબ આ ચોમાસું અસામાન્ય છે કારણકે આ સોમવારથી અર્થાત ૩૦ સપ્ટેમ્બરથી ચોમાસું સત્તાવાર પૂરું થઇ રહ્યું છે જયારે વરસાદ બંધ થવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી.
ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ દેશના અલગ અલગ ભાગોમાં હજી ચોમાસું ચાલી રહ્યું છે જે દર્શાવે છે કે આ વખતે વરસાદ લાવતા પવનો તેમનો સમય વીતી ગયા પછી પણ વિદાય લઇ રહ્યા નથી.
ભારતીય હવામાન ખાતાએ ભારતને ૩૬ વિભાગોમાં વહેંચ્યું છે જે પૈકી મોટાભાગના વિભાગોમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે જેમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં સામાન્ય કરતા ઘણો જ વધારે વરસાદ નોંધાયો છે.
અત્રે નોંધનીય છે કે ચોમાસું કેરાલામાં તેની અપેક્ષિત તારીખ કરતા ૧ અઠવાડિયા મોડું એટલે કે ૮મી જુને આવ્યું હતું. જૂનમાં ચોમાસું નબળું રહ્યું હતું અને ૩૩% વરસાદની ઘટ રહી હતી.
ત્યારબાદ મેઘરાજાએ સ્પીડ પકડીને જુલાઈમાં સામાન્ય કરતા ૩૩% વધુ વરસાદ નોંધાવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં પણ સામાન્ય કરતા ૧૫% વધુ વરસાદ નોંધાયો હતો. તો સપ્ટેમ્બર મહિનાએ તો ભારતનો ૧૦૨ વર્ષનો વિક્રમ તોડી નાખ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા ૪૮% વધુ વરસાદ નોંધાયો હતો.
યુપી અને બિહારમાં અત્યંત ખરાબ હાલત
વરસાદને કારણે બિહારમાં હાલ સુધી 27 લોકોના મોત થયા છે જયારે યુપીમાં અત્યાર સુધી લગભગ ૯૩ લોકોના મોત થયા છે. શહેરની અનેક હોસ્પિટલ, દુકાન, બજાર જળમગ્ન થયા છે. વાહન વ્યવહાર ખોરવાયો છે. લોકોનું ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું છે. અનેક જગ્યાએ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં 131 ટકા વરસાદ નોંધાયો છે. સરેરાશ 32.63 ઈચ સામે 42.92 ઈંચ વરસાદ નોંધાયો છે. 91 જિલ્લામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો થયો છે. 131 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ વચ્ચે વરસાદ વરસ્યો હતો જયારે ૫ જીલ્લાના ૭૫% ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે. કપાસ અને મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાથી ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે.