સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો ચેપ લાગવાનો સૌથી વધુ ખતરો ધરાવતા દેશોની એક યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ભારતમાં આ રોગ ફાટી નીકળવાની સંભાવનામાં 17મો ક્રમ આવે છે.
હમ્બોલ્ટ યુનિવર્સીટી અને રોબર્ટ કોચ યુનિવર્સીટી બર્લિનના વૈજ્ઞાનિકો દ્વારા ચાલી રહેલા રિસર્ચ મુજબ ચીન સિવાયના 30 સૌથી વધુ ભયજનક દેશોની યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં ચીનમાં થતી હવાઈ યાત્રાના પ્રમાણ મુજબ દેશો કેટલા ખતરામાં છે તેની ગણતરી કરવામાં આવી છે.
ચીનની બહાર થાઈલેન્ડ, જાપાન, સાઉથ કોરિયા આ રોગનો ચેપ લાગવાના સૌથી વધુ ખતરામાં છે.
જયારે ભારતમાં શહેરો પ્રમાણે દિલ્હી ચીનની ફ્લાઈટ્સથી સૌથી વધુ જોડાયેલું હોવાથી સૌથી વધુ જોખમમાં છે. બીજા ક્રમે મુંબઈ અને કલકત્તા આવે છે.
જો કે આ જ રિસર્ચના એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે ચોક્કસ આંકડાકીય સંભાવના આ મોડલથી ગણવી અશક્ય છે. આ મોડલ ફક્ત જે તે દેશના આરોગ્ય અધિકારીઓને મદદરૂપ થાય અને તેઓ અનુરૂપ પગલાં ભરી શકે તે માટે વિકસાવાયું છે. વાયરસ વિષેની ઘણી બધી માહિતીથી હજુ વૈજ્ઞાનિકો અજાણ છે.
Indian Council of Medical Researchની લેબોરેટરીઓમાં 1486 સેમ્પલ તપાસવામાં આવ્યા છે. જો કે 3 સેમ્પલ સિવાય બધા સેમ્પલ નેગેટિવ આવ્યા છે.
3 ત્રણેય ભારતીય પોઝિટિવ કેસીસ રિકવરી પામી ચુક્યા છે. જો કે સજા થવા છતાં તેમને અલાયદા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
આ સાથે હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં જ્યાં આ વાયરસે સૌથી વધુ આતંક મચાવ્યો છે ત્યાંથી 15 વિદ્યાર્થીઓ કેરળ આવી પહોંચ્યા છે. શુક્રવારે ભારત આવ્યા બાદ તરત જ તેમને સ્ટરીલાઈઝ કરેલી એમ્બ્યુલન્સમાં કલમસરી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ વિદ્યાર્થીઓ ઉપર ટેસ્ટ્સ કરવામાં આવશે અને તેમના ટેસ્ટ્સ નેગેટિવ આવશે તો તેમને રજા આપવામાં આવશે એવી માહિતી એક સિનિયર આરોગ્ય વિભાગના અધિકારી તરફથી મળી હતી.
અત્યાર સુધી સરકારે 21 એરપોર્ટ્સ પર ચીન, હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડથી 1,636 ફ્લાઈટ્સમાં આવતા 1,76,706 લોકોનું સ્ક્રીનિંગ કર્યું છે.