ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્ષે દિવાળી દરમિયાન પણ તંગ માહોલ છે. પાકિસ્તાન તરફથી વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન થાય છે. તેનાે ભારત તેની જ ભાષામાં જવાબ આપી રહ્યું છે. આ ગરમાગરમીના માહોલની વચ્ચે દર વર્ષે દિવાળી પર બોર્ડર પર જે મીઠાઇની આપલે થાય છે તે આ વખતે ન થઇ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવાળી દરમિયાન પણ તંગ માહોલ
પાકિસ્તાને ભારતે આપેલ મીઠાઇનો કર્યો નહીં સ્વીકાર
પાકિસ્તાન તરફથી વારંવાર થઇ રહ્યું છે સીઝફાયરનું ઉલ્લંઘન
ભારતીય હાઇ કમિશન દિવાળીમાં મોકલે છે મીઠાઇ
સૂત્રોની વાત માનીએ તો પ્રોટોકોલ મુજબ ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશન દિવાળીમાં તમામ મુખ્ય ઓફિસોમાં મીઠાઇ મોકલે છે. પાકિસ્તાનની આઇએસઆઇએ પહેલાં પ્રોટોકોલનું સ્વાગત કરતાં મીઠાઇ સ્વીકારી, પરંતુ બાદમાં તેને પરત કરી દીધી. ઉલ્લેખનીય છે કે આઇએસઆઇ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા છે અને પાકિસ્તાનની સત્તા તેમજ રણનીતિમાં તેનો જ દબદબો છે.
પાકિસ્તાને મીઠાઇનો સ્વીકાર કર્યો નહીં
માત્ર ઇસ્લામાબાદમાં આઇએસઆઇ કે અન્ય અધિકારી નહીં, પરંતુ બોર્ડર પર પાકિસ્તાની રેન્જર્સે પણ આ વર્ષે ભારત દ્વારા અપાયેલી મીઠાઇનો સ્વીકાર કર્યો નહીં. જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ને હટાવ્યા બાદથી બંને દેશો વચ્ચે પરિસ્થિતિ યોગ્ય નથી. પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ભડકાઉ પ્રવૃત્તિઓ કરે છે.
પાકિસ્તાને તંગધારમાં વિસ્તારમાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન
આ અઠવાડિયે પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના તંગધાર વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું. જેમાં જવાન અને સ્થાનિકોને નિશાન બનાવાયા હતા. પાકિસ્તાનની આ હરકતોનો જવાબ આપતાં ભારતીય સેનાએ પીઓકેમાં આતંકી કેમ્પો પર હુમલો કર્યો હતો. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં ઘણા આતંકી અને પાકિસ્તાની સેનાના જવાનો મૃત્યુ પામ્યા હતા.
પાકિસ્તાની સેના કેટલાક વિદેશી પત્રકારો અને અધિકારીઓને નીલમ વેલી લઇ ગઇ હતી અને તે વિસ્તારોની મુલાકાત કરાવી હતી. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાને અપીલ કરી હતી કે તે બોર્ડર પર કોઇ કાર્યવાહી ન કરે. જેને ભારતીય સેેનાએ સ્વીકારી હતી. મંગળવારે બપોર બાદ પાકિસ્તાને ખુદ પોતાનો વાયદો તોડયો અને સિઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.