આવતી કાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી મોટેરામાં ડે-નાઇટ ટેસ્ટનો પ્રારંભઃ છેલ્લે ૨૦૧૨માં પણ એલિસ્ટર કૂકની ટીમને નવ વિકેટે કચડી નાખી હતી
મોટેરામાં ભારત-ઈંગ્લેન્ડ અગાઉ બે ટેસ્ટ રમી છે
છેલ્લી મેચમાં ભારતે ઈંગ્લેન્ડે કારમી હાર આપી હતી
અમદાવાદમાં 4 ટેસ્ટમાં ભારત જીતી શક્યું છે
મોટેરામાં બે વખત ભારત-ઈંગ્લેન્ડની મેચો રમાઈ છે
અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયા ક્યારેય હારી નથી. મોટેરામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ૨૦૧૨માં થઈ હતી. હવે આવતી કાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ પિન્ક બોલથી રમાશે.
2012માં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
૨૦૧૨માં બંને ટીમ વચ્ચે જે ટેસ્ટ મેચ રમાઈ હતી તેમાં ભારતે એલિસ્ટર કૂકના નેતૃત્વ હેઠળની ટીમને નવ વિકેટે કચડી નાખી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ચેતેશ્વર પૂજારાના અણનમ ૨૦૬ રન અને વીરેન્દ્ર સેહવાગના શાનદાર ૧૧૭ રનની મદદથી આઠ વિકેટે ૫૨૧ રન ખડક્યા હતા. ભારતના પહાડ જેવડા સ્કોરના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૧૯૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતને ૩૩૦ રનની મસમોટી સરસાઈ મળી હતી. ભારત તરફથી સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ પાંચ વિકેટ ઝડપી હતી. ત્રણ વિકેટ ઝડપીને અશ્વિને તેને સુંદર સાથ આપ્યો હતો.
ભારતે અમદાવાદમાં કુલ 12 ટેસ્ટ રમી
૩૩૦ રનના દેવા સાથે ઊતરેલી ઈંગ્લેન્ડની ટીમ તરફથી કેપ્ટન કૂકે ૧૯૯ રનની ધરખમ ઇનિંગ્સ રમી, જ્યારે વિકેટકીપર-બેટ્સમેન મેટ પ્રાયરે ૯૧ રન બનાવ્યા. આમ છતાં ઈંગ્લેન્ડની ટીમ ૪૦૬ રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. બીજી ઇનિંગ્સમાં પણ પ્રજ્ઞાન ઓઝાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ અને ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતને જીતવવા માટે ૭૭ રનનું લક્ષ્ય મળ્યું હતું, જે એક વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધું હતું. પૂજારા ૪૧ અને કોહલી ૧૪ રન બનાવી અણનમ રહ્યા હતા. ઓવરઓલ જોવામાં આવે તે ટીમ ઇન્ડિયા અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૧૨ ટેસ્ટ મેચ રમી છે અને ચારમાં જીત હાંસલ કરી છે અને બે ટેસ્ટમાં પરાજયનો સામનો કર્યો છે, જ્યારે છ ટેસ્ટ ડ્રોમાં પરિણમી છે. ભારત ૧૯૮૩માં વિન્ડીઝ સામે અને ૨૦૦૮માં દક્ષિણ આફ્રિકા સામે હાર્યું હતું.
આગામી ટેસ્ટમાં બુમરાહ રમશે
ઉલ્લેખનીય છે વર્તમાન શ્રેણીની ચેન્નઈ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં અક્ષર અને અશ્વિને મળીને ૨૦માંથી ૧૫ વિકેટ ઝડપી હતી. અમદવાદમાં પિન્ક બોલથી ડે-નાઇટ ટેસ્ટ રમાવાની હોવાથી સ્પિનર કુલદીપ યાદવના સ્થાને કોઈ ત્રીજા ફાસ્ટ બોલર તરીકે મેદાનમાં ઉતારાય તેવી શક્યતા છે. બીજી ટેસ્ટમાં બૂમરાહને આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ આવતી કાલની ટેસ્ટમાં બૂમરાહ રમશે એ નિશ્ચિત છે.