ભારતની સરહદો પર છેલ્લાં થોડા દિવસથી તણાવ વધી રહ્યો છે, એક તરફ લદ્દાખમાં ચીન તો બીજી તરફ ટચુકડો દેશ નેપાળ પણ ભારત સામે માથું ઊંચકી રહ્યું છે. પહેલાં નકશો જાહેર કરીને ભારતની ક્ષેત્રીય અખંડતા પર પ્રહાર કર્યા બાદ હવે નેપાળ સરહદ પાસે 12 વર્ષથી બંધ પડેલાં પ્રોજેક્ટ પર ફરી કામ કરવા જઈ રહ્યું છે.
ભારતને સતત ઉશ્કેરવાનાં પ્રયત્નો કરી રહ્યું છે નેપાળ
ભારતે જે વિસ્તારમાં માર્ગ નિર્માણ કર્યું તે નજીક જ નેપાળ પણ રોડ બાનાવશે
નેપાળની બેસ કેમ્પ બનાવી કામ શરુ કર્યું
ધારચુલા નજીક શરુ કર્યું માર્ગ નિર્માણ
નેપાળે જાણે ભારતને ઉશ્કેરવાનું જ મન બનાવી લીધું છે. પહેલાં આધિકારિક નકશામાં ભારતના વિસ્તારોને પોતાના જાહેર કર્યા અને હવે ભારતની સીમા પર એક રોડ પર આશરે 12 વર્ષ બાદ ફરીથી કામ શરુ કરી દીધું છે. કુલ 130 કિમી લાંબી ધારચૂલા-ટીનકર રોડ પર 50 કિમી હિસ્સોભારત ના ઉત્તરાખંડથી અડેલો છે. સૂત્રો અનુસાર આ પ્રોજેક્ટને વર્ષ 2008માં અનુમતિ આપવામાં આવી હતી અને તેનો મુખ્ય ધ્યેય નેપાળ અને ચીન વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાનો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે ધારચૂલામાં રોડ ઉદ્ઘાટન કર્યું તો ઉકળી ઉઠ્યું નેપાળ
નોંધનીય છે કે ભારતે હાલમાં ધારચૂલાથી લિપુલેખને જોડતા 80 કિમી લાંબા માર્ગનું આઠમી મેના રોજ ઉદ્ઘાટન કર્યું છે. દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે જ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું જેનાથી કૈલાશ માનસરોવર યાત્રામાં મદદરૂપ થઇ શકે. હવે અચાનક નેપાળને પણ રોડ બનવવાનું યાદ આવ્યું છે. નોંધનીય છે 12 વર્ષ પહેલાં રોડ બનવવા માટે અનુમતિ મળી ગઈ હતી પરંતુ માત્ર 43 કિમી રોડ પર જ કામ થઇ શક્યું. નેપાળ સરકારે ફરી અહિયાં કામ શરુ કર્યું છે, એવામાં સરકાર કહી રહી છે રોડ બનવાથી વેપાર અને ટૂરિઝમને પ્રોત્સાહન મળશે.
નેપાળે બનાવ્યો બેસ કેમ્પ
ભારતે જ્યારે ધારચૂલા-લિપુલેખ રોડની શરૂઆત કરી ત્યારે નેપાળે ભારે વિરોધ નોંધાવ્યો. નેપાળની સરકાર કહી રહી છે કે તે આખો વિસ્તાર તો તેમના ભાગે આવે છે, જોકે તે બાદ પણ નેપાળે ઘણીવાર ભારતેને ઉશ્કેરવાના પ્રયત્નો કર્યા છતાં ભારતે ધીરજ રાખીને આ મુદ્દે કામ કરી રહી છે ત્યાં નેપાળ હવે રોડ માટે આર્મીનો સહારો લેવા જઈ રહ્યું છે. મીડિયાના અહેવાલો મુજબ નેપાળની સેનાએ રોડના કામ માટે ઘટીયાબારમાં બેસ કેમ્પ પણ શરુ કરી દીધું છે.
નેપાળના નકશા પર ભારત લાલઘૂમ
લિપુલેખ વિસ્તાર વિવાદ મામલે છેલ્લાં ઘણા સમયથી ભારત અને નેપાળ તણાવ વધી રહ્યો છે, નેપાળે ભારતનો 395 ચો. કિમી. ક્ષેત્ર પોતાના ભાગમાં દર્શાવ્યો છે. ભારતના 3 વિસ્તારો પર નેપાળ દાવો કરી રહ્યું છે. ભારતે આ નકશા મુદ્દે જડબાતોડ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતામાં કોઈ જ હસ્તક્ષેપ સાંખી લેવામાં આવશે નહીં. વિદેશ મંત્રાલય દ્વારા કહેવવામાં આવ્યું છે કે સીમા વિવાદ પર વાતચીતના માધ્યમથી સમાધાન કાઢવામાં આવશે.