ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમનો દાવો છે કે, જો આ જ ગતિ રહી તો મે મહિનાના મધ્ય સુધીમાં એક લાખથી તેર લાખ સુધી સંક્રમિતોની સંખ્યા પહોંચી શકે છે. આવી સ્થિતિમાં લડવા માટે ભારતમાં રહેલા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડિકલ ઉપકરણ પૂરતાં નથી.
હાલમાં દેશમાં માત્ર ૪૦ હજાર વેન્ટિલેટર, જેમાંથી ૧૦ ટકા જ ખાલી છેઃ ડોક્ટરની પણ અછત
ભારતમાં લગભગ ૧૭૦૦ લોકો દીઠ એક બેડ છે
એક મહિનાની અંદર વધારાનાં ૫૦ હજાર વેન્ટિલેટર અને હોસ્પિટલમાં બે લાખથી વધુ બેડ ઊભા કરવા પડશે
નેશનલ હેલ્થ પ્રોફાઇલ-૨૦૧૯ના આંકડા પર નજર નાખીએ તો દેશમાં લગભગ ૩૨ હજાર સરકારી સેવા અને રેલવેની હોસ્પિટલ છે. આ ઉપરાંત ક્લિનિક, ડાયગ્નોસ્ટિક સેન્ટર, કોમ્યુનિટી સેન્ટર પણ છે. બધું મળીને લગભગ ૧૦ લાખ બેડ છે.
વસ્તી પ્રમાણે જોવામાં આવે તો ભારતમાં લગભગ ૧૭૦૦ લોકો દીઠ એક બેડ છે. હવે ICU અને વેન્ટિલેટરની સ્થિતિ જોઇએ તો તે ખૂબ જ ઓછી છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મુજબ દેશભરમાં લગભગ ૭૦ હજાર આઇસીયુ બેડ છે, જ્યારે ૪૦ હજાર વેન્ટિલેટર છે, તેમાંથી માત્ર ૧૦ ટકા જ ખાલી છે.
નિષ્ણાતોની વાત માનીએ તો કોરોના સામે લડવા ભારતે આગામી એક મહિનાની અંદર વધારાનાં ૫૦ હજાર વેન્ટિલેટર અને હોસ્પિટલમાં બે લાખથી વધુ બેડ ઊભા કરવા પડશે, જ્યારે ICU બેડમાં લગભગ ૭૦ હજારની જરૂર પડી શકે છે. બીજી બાજુ અલગ અલગ સ્તર પર સરકારે કોશિશ શરૂ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ જિલ્લા હોસ્પિટલમાં એક-એક બિલ્ડિંગ માત્ર કોરોનાપીડિતો માટે તૈયાર કરવા કહ્યું છે તો ઓડિશા સરકારે ૧૫ દિવસમાં એક હજાર બેડની હોસ્પિટલ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. આ કોશિશ જરૂરિયાત પ્રમાણે ઓછી છે.
દુનિયાભરમાં વેન્ટિલેટર અને બેડનું સંકટ
કોરોનાથી સંક્રમિત દર્દીઓના ઇલાજમાં વેન્ટિલેટરની સૌથી મહત્ત્વની ભૂમિકા હોય છે. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટિલેટરનો જ સહારો હોય છે. સમગ્ર દુનિયા અત્યારે વેન્ટિલેટરની વ્યવસ્થા કરી રહી છે. યુરોપના ઘણા દેશ વેન્ટિલેટર બનાવનારી કંપનીઓને ઓર્ડર કરી રહ્યા છે. આખી દુનિયામાં વેન્ટિલેટર બનાવનારી માત્ર ચાર કે પાંચ મોટી કંપની છે અને તેમની વેન્ટિલેટર બનાવવાની અત્યારે એટલી ક્ષમતા પણ નથી કે સમગ્ર દુનિયાને પહોંચી વળે. હોસ્પિટલોનું સંકટ માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ છે. ચીનમાં એક હજાર નાગરિકદીઠ ૪.૨ બેડ છે. ફ્રાન્સમાં એક હજાર નાગરિકદીઠ ૬.૫, અમેરિકામાં ૨.૮, દક્ષિણ કોરિયામાં ૧૧.૫ બેડ છે.
IIT અને AIIMS તૈયાર કરશે વેન્ટિલેટર
જ્યારે સમગ્ર દુનિયા વેન્ટિલેટર માટે પરેશાન છે તો આ મુશ્કેલીની ઘડીમાં IITએ મદદનો હાથ લંબાવ્યો છે. IIT-કાનપુરે એક મહિનામાં એક હજાર પોર્ટેબલ વેન્ટિલેટર તૈયાર કરવાની જાહેરાત કરી છે. AIIMS - નવી દિલ્હીએ પણ એક ખાનગી કંપની સાથે કરાર કર્યા છે. તેઓ સાથે મળીને ૧,૨૦૦ જેટલાં વેન્ટિલેટર બનાવશે.