વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને લઇને એવી શક્યતા વ્યક્ત કરી છે કે અત્યારે દેશમાં દરરોજ નવા આવી રહેલા કેસીસની સંખ્યા સ્ટેબલ થઇ ગયેલી જણાય છે. આવનાર સમયમાં આ આલેખ ઘટે અને એક્ટિવ કેસીસની સંખ્યા ઘટે એવી પણ શક્યતા છે પરંતુ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસામાં કેસીસની સંખ્યા ફરીથી વધવા માંડે તેવી શક્યતા છે.
બીજો વેવ કેટલો નિયંત્રણમાં રાખી શકાય તે આપણે કેટલું સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી શકીએ છીએ તેની ઉપર આધાર રાખે છે
ચોમાસામાં ભારતમાં દેશભરમાં સિઝનલ ફલૂની શરદી ઉધરસ થાય છે
શિવ નાદર યુનિવર્સીટીના એસોસિએટ પ્રોફેસર સમિત ભટ્ટાચાર્યએ PTI સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અત્યારે દેશમાં દરરોજ નવા આવી રહેલા કેસીસની સંખ્યા સ્ટેબલ થઇ ગયેલી જણાય છે. આવનાર સમયમાં આ આલેખ ઘટે અને એક્ટિવ કેસીસની સંખ્યા ઘટે એવી પણ શક્યતા છે પરંતુ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસામાં આ આલેખ ફરી જોર પકડે અને કેસીસની સંખ્યા ફરીથી વધવા માંડે તેવી શક્યતા છે.
લોકડાઉનના નિયમોને હળવા કરવામાં આવે તે સાથે જ સંક્રમણનો દર ફરીથી વધે તેવી શક્યતા
આ તબક્કાને કોરોના વાયરસનો બીજો વેવ ગણી શકાય. જો કે તેને કેટલો નિયંત્રણમાં રાખી શકાય તે આપણે કેટલું સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી શકીએ છીએ તેની ઉપર આધાર રાખે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના પ્રોફેસર રાજેશ સુદર્શને પણ આ વાતને સમર્થન આપતા ઉદાહરણ આપ્યું હતું કે લોકડાઉનના નિયમોને હળવા કરવામાં આવે તે સાથે જ સંક્રમણનો દર ફરીથી વધવા માંડે છે જેનું દ્રષ્ટાંત ચીન છે જ્યાં લોકડાઉન હટવાથી ફરીથી કોરોના માથું ઉંચકી રહ્યો છે.
25મી માર્ચથી PM મોદીએ દેશભરમાં લોકડાઉન જાહેર કરી દીધું છે. લોકડાઉન જાહેર થવાના દિવસે દેશમાં 618 કેસ હતા જે અત્યારે વધીને 23000થી પણ વધારે છે. જો કે સારા સમાચાર એ છે કે દેશમાં કેસ બમણા થવાના દિવસો 3.4 થી વધી 7.5 થઇ ગયા છે અને રિકવરી રેટ પણ છેલ્લા 10 દિવસથી બમણો થયો છે. આમ આલેખની ટોચ પર પહોંચ્યા પછી હવે સ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. જો કે યુરોપ અને ચીનમાં ઘણા લોકો કોરોનાથી રિકવર થયા પછી ફરીથી તેનો ભોગ બન્યા છે જે દર્શાવે છે કે બીજા વેવમાં ફક્ત કોરોનાથી સંક્રમિત ન થયા હોય એ લોકો જ નહીં દેશની લગભગ તમામ વસ્તી જોખમમાં હોઈ શકે છે.
લોકડાઉન બાદ અચાનક કેસ વધતા મેડિકલ ઉપર કેટલું ભારણ આવશે તે એક વિકટ પ્રશ્ન છે
મુંબઈ અને બેંગ્લોરમાં ચાલી રહેલા આ રિસર્ચ ઉપરથી વૈજ્ઞાનિકો તારણ કાઢી રહ્યા છે કે ખુબ ત્વરિત રીતે ટેસ્ટિંગ કરીને, પોઝિટિવ વ્યક્તિને શોધીને, તેને આઇસોલેટ કરીને, તેના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરીને અને બધા લોકોમાં સારી સ્વચ્છતાની આદત કેળવીને આ બીજા વેવના કેસ અને મોતને ઘટાડી શકાય છે. આ લોકડાઉન બાદ અચાનક કેસ વધતા મેડિકલ ઉપર કેટલું ભારણ આવશે તે એક વિકટ પ્રશ્ન છે. આમ લોકડાઉન ક્યારે અને કેટલા તબક્કાઓમાં ખોલવું એ સરકાર માટે એક માથાનો દુખાવો છે.
વૈજ્ઞાનિકોના મતે સામાન્ય રીતે મહામારી ખૂબ ઝડપથી આખા વિશ્વમાં ફેલાય છે. જયારે વિશ્વની મોટાભાગની વસ્તી સંક્રમિત થઇ જાય છે ત્યારે મોટાભાગના લોકોના શરીરમાં આ બીમારી સામેની રોગ પ્રતિકારક શક્તિ વિકસી જાય છે અને રોગચાળાનો અંત આવે છે પરંતુ જયારે લોકડાઉન જેવા પગલાં ભરવામાં આવે ત્યારે ઓછા લોકોને સંક્રમણ થાય છે અને વધુ લોકો સંક્રમણથી બચી જાય છે. આવા કેસમાં જયારે લોકડાઉન હટે અને બીજો વેવ આવે ત્યારે આ લોકો ઉપર વધુ ખતરો રહે છે.
સિઝનલ ફલૂની શરદી ઉધરસ કોરોના છે કે શરદી ઉધરસ એ નક્કી કરવું તે સમયે મુશ્કેલ
વળી ચોમાસામાં ભારતમાં દેશભરમાં સિઝનલ ફલૂની શરદી ઉધરસ થાય છે. આ લક્ષણોને લીધે કોરોના છે કે શરદી ઉધરસ એ નક્કી કરવું પણ તે સમયે મુશ્કેલ બની શકે છે. વૈજ્ઞાનિકોના મતે 2022 સુધી સોશ્યલ ડિસ્ટન્સિંગને જાળવવું જરૂરી બની શકે છે અને વચ્ચે વચ્ચે થોડા થોડા સમય માટે લોકડાઉન પાળવા પડે તેવી પરિસ્થિતિ હોઈ શકે તેમ છે. આ બધાને કારણે દુનિયામાં થઇ રહેલા સામાજિક અને આર્થિક નુક્શાનોની અસરો કેવી રીતે ઓછી કરી શકાય તે એક મહેનત માંગી લે એવો વિષય છે.