દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે જેથી દુનિયાનાં ઘણા દેશ કોરોનાની રસી શોધવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે છતાં આજદિન સુધી સફળતા મળી નથી. જેમાં ભારતમાં આ દવાની રસી શોધવા માટે શું પગલાં લેવામાં આવો રહ્યા છે તેના પર ICMR દ્વારા માહિતી આપવામાં આવી છે.
ભારત અત્યારે 40 વેક્સિન પર કામ કરી રહ્યું છે
હજુ સુધી એક પણ રસી નેક્સ્ટ સ્ટેજમાં ગઈ નથી
ભારતની 219 લેબમાં 1.86 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા
ICMRએ આપ્યો જવાબ
ICMRએ કહ્યું કે ભારત પણ આ વાયરસની વેક્સિનની શોધવાના પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. આજે પત્રકાર પરિષદમાં ICMR તરફથી ડૉ. મનોજ મુરહેકરે કહ્યું કે '40થી વધુ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ જ નેક્સ્ટ સ્ટેજમાં પહોંચ્યું નથી. ભારત પૂર્ણ પ્રયત્નો કરી રહ્યું છે.'
વધુમાં જાણકરી આપતાં તેમણે કહ્યું કે ભારતમાં કોરોનાનો ટેસ્ટ કરવા માટે 219 લેબ બનાવવામાં આવી છે. જેમાં કુલ 1.86 લાખ ટેસ્ટ કરી દેવામાં આવ્યા છે. છેલ્લાં પાંચ દિવસમાં દરરોજ 15 હજાર સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સરેરાશ 584 કેસ પોઝિટિવ આવે છે.
કેટલાક દેશોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી
કોરોના વાયરસ સામે લડવા માટે વિશ્વની ઘણી સંસ્થાઓ રસી શોધવાના કામમાં લાગેલી છે. રસી તૈયાર કરવામાં એક થી દોઢ વર્ષનો સમય લાગી શકે છે એવામાં કેટલીક સંસ્થાઓએ દાવો કર્યો છે કે સપ્ટેમ્બર મહિના સુધી વેકિસન બજારમાં આવી જશે. અમેરિકા, ચીન, ઑસ્ટ્રેલિયા જેવા દેશોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
નોંધનીય છે કે કોઈ પણ રસી શોધવામાં ત્રણ ચરણ હોય છે. જેમાં શોધાત્મક, પ્રી-ક્લિનિકલ અને ક્લિનિકલ ત્રણ સ્ટેજનો સમાવેશ થાય છે.
શોધાત્મક : વાયરસના કમજોર કડીની ઓળખ કરવી
પ્રી-ક્લિનિકલ : પશુઓ પર વેક્સિનનું પરીક્ષણ, જેમાં જાનવરોમાં વેક્સિનનો નમૂનો નાખીને જોવામાં આવે છે કે એન્ટીબોડી કામ કરે છે કે નહી
ક્લિનિકલ : ટોચની સંસ્થાઓ વેક્સિનનું પરીક્ષણ કરે છે અને તેના દુષ્પ્રભાવનું અધ્યયન કરવામાં આવે છે.