એકસમયે ઘઉં માટે અમેરિકા ભારતની મજાક ઉડાવતું ને આજે ભારત વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન કરનાર બીજા નંબરનો સૌથી મોટો દેશ બની ગયો.
એકસમયે અમેરિકા ઘઉં માટે ભારતની મજાક ઉડાવતું
અમેરિકા ભારતને કહે છે ભિખારીઓનો દેશ
આજે અમેરિકા પણ ભારત પાસે લગાવી રહ્યું છે મદદની ગુહાર!
એક સમયે ઘઉંની નિકાસ મુદ્દે ભારતના નિર્ણય પર અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. જે-તે સમયે અમેરિકાએ તેને 'ખોટું પગલું' ગણાવ્યું હતું. એક સમય એવો પણ હતો કે જ્યારે ભારત ઘઉં માટે અમેરિકા પર નિર્ભર હતું અને અમેરિકા ભારતની મજાક ઉડાવતું. પરંતુ આજે ભારત વિશ્વમાં ઘઉંનું ઉત્પાદન કરનાર બીજા નંબરનો સૌથી મોટો દેશ બની ગયો છે.
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મામલે અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી
ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તેની ટીકા થઈ રહી છે. સરકારના આ નિર્ણય પર અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. જો કે, ભારતે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેના કારણે દેશમાં ઘઉં અને લોટની વધતી જતી કિંમતોને નિયંત્રિત કરી શકાય.
જો કે, તમને જણાવી દઇએ કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકા નારાજ છે. જર્મનીમાં યોજાયેલી G-7 બેઠકમાં યુએસ એગ્રીકલ્ચર સેક્રેટરી ટૉમ વિલ્સૈકે કહ્યું કે, તે ઘઉંની પહોંચમાં અવરોધ ઉભો કરે છે. તેઓએ તેને 'ખોટા સમયે ખોટું પગલું' ગણાવ્યું. વિલ્સૈકે કહ્યું કે, અમને એવાં બજારની જરૂર છે કે જે જરૂરિયાતમંદ લોકો સુધી સામાન પહોંચાડવામાં મદદ કરે.
ભારતે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
ભારતે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે આ પ્રતિબંધ એવાં સમયે લગાવ્યો છે કે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઘઉંનો પુરવઠો પ્રભાવિત થયો છે. ભારત વિશ્વનાં એવાં દેશોમાં સામેલ છે કે જે સૌથી વધારે ઘઉંની નિકાસ કરે છે. ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન પણ ચીન પછી ભારતમાં થાય છે. 2021-22માં ભારતમાં 1,113 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું છે.
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણય પર અમેરિકા આજે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે અમેરિકા ઘઉં માટે ભારતને ધમકી આપતું. ત્યારે ભારત ઘઉં માટે અમેરિકા પર નિર્ભર રહેતું હતું. 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ભારતને ઘઉં નહીં આપવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, અમેરિકાએ એક સમયે ભારતને 'ભિખારીઓ'નો પણ દેશ કહ્યો હતો.
અમેરિકાએ ધમકી આપી ત્યારે ભારતીયોએ એક સમયનું ખાવા સુધીનું છોડી દીધું હતું
1962માં ભારતે ચીન સાથે યુદ્ધ કર્યું હતું. જેના લીધે પાકિસ્તાને ભારતને નબળું માની લીધું અને 5 ઓગસ્ટ, 1965ના રોજ 30 હજાર પાકિસ્તાની સૈનિકો એલઓસી પાર કરીને કાશ્મીરમાં ઘૂસ્યા. પાકિસ્તાન માટે આ એક મોટી ભૂલ સાબિત થઈ હતી. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેના લાહોરમાં પ્રવેશી ગઇ હતી. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તેનો હેતુ લાહોર પર કબજો કરવાનો નથી.
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ લિન્ડન જોન્સને ભારતને ધમકી આપી હતી. તેઓએ ભારતને ધમકી આપી હતી કે જો યુદ્ધ અટકાવવામાં નહીં આવે તો ઘઉંનો પુરવઠો બંધ કરી દેવામાં આવશે. શાસ્ત્રી સ્વાભિમાની હતા અને તેમને આ ખૂબ ગમ્યું. તેઓએ અમેરિકાની ધમકીને ફગાવી દીધી.
1965માં દશેરાના દિવસે રામલીલા મેદાનમાં શાસ્ત્રીએ રેલી કરી હતી. આ રેલીમાં 'જય જવાન-જય કિસાન'ના નારા આપવામાં આવ્યા હતા. આ રેલીમાં શાસ્ત્રીએ દેશવાસીઓને અઠવાડિયામાં એક સમયનું ભોજન ન ખાવાની પણ અપીલ કરી હતી. તેઓએ ખુદ એક સમયનું જમવાનું છોડી દીધું હતું. શાસ્ત્રીની અપીલની અસર એ થઈ કે કરોડો ભારતીયોએ અઠવાડિયામાં એક સમયનું ભોજન છોડી દીધું હતું.
જ્યારે અમેરિકાએ ભારતને 'ભિખારીઓનો દેશ' કહ્યો
વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તત્કાલિન સોવિયેત સંઘ તાશકંદમાં અવસાન થયું હતું. તેઓના મૃત્યુ પછી ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન બન્યા બાદ ઇન્દિરા ગાંધી માર્ચ 1966માં તેમની પ્રથમ વિદેશ યાત્રા પર ગયા હતા. તેઓ પેરિસ અને લંડનમાં રોકાયા હતા, પરંતુ તેમની યાત્રાનો મુખ્ય હેતુ અમેરિકા હતો. તે સમયે ભારત તેની ખાદ્ય જરૂરિયાતો માટે સંપૂર્ણપણે અમેરિકા પર નિર્ભર હતું.
વધુમાં જણાવી દઇએ કે, 1965 અને 1966માં ભારતે પબ્લિક લોન સ્કીમ હેઠળ યુએસમાંથી 15 મિલિયન ટન ઘઉંની આયાત કરી હતી. તેને PL480 નામથી ઓળખવામાં આવે છે. આ અનાજથી લગભગ 4 કરોડ ભારતીયોની ભૂખ મટાડી શકાશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે પોતાના એક રિપોર્ટમાં ભારતની મજાક ઉડાવતા લખ્યું હતું કે, 'હિન્દુસ્તાન ભિખારીઓ અને નિરાધારોનો દેશ છે.'
હવે ભારત પાસે લગાવી રહ્યું છે મદદની ગુહાર!
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંની અછત તો પહેલેથી જ હતી, જેની ભરપાઈ ભારત કરી રહ્યું હતું. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણય પર, સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે કહ્યું કે આનાથી ખાદ્યપદાર્થોની અછતમાં વધારો થશે.
તેમણે કહ્યું કે અમેરિકાને આશા છે કે ભારત ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરશે. ભારતના આ નિર્ણયથી વર્તમાન વૈશ્વિક ખાદ્ય સંકટ વધુ ખરાબ થશે. અમે દેશોને નિકાસ પર પ્રતિબંધ ન મૂકવા માટે કહી રહ્યાં છીએ કારણ કે અમને લાગે છે કે નિકાસ પરના કોઈ પણ નિયંત્રણો ખોરાકની અછતને વધારે વધારી દેશે.