ભારતીયો માટે એક ચિંતાજનક માહિતી સામે આવી છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જીવલેણ ગેસ ફેલાવવામાં દુનિયામાં ભારત પ્રથમ સ્થાને છે. ભારતમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન સૌથી વધુ થાય છે. આ રિપોર્ટથી ગુજરાતની ચિંતામાં પણ વધારો થયો છે. તો આ સમાચાર કેમ છે ગુજરાત માટે વધારે ચિંતાજનક તે જોઈએ આ અહેવાલમાં.
એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, જીવલેણ ગેસ ફેલાવવામાં દુનિયામાં ભારત પ્રથમ સ્થાને છે. ભારતમાં સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જન સૌથી વધુ થાય છે અને સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ કોલસો છે. કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ આ ગેસનું ઉત્સર્જન કરે છે. દુનિયામાં જેટલું સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, તેમાં 15 ટકાથી વધુનો હિસ્સો માત્રને માત્ર આપણા દેશનો છે. ભારતમાં દર વર્ષે 4586 કિલોટન SO2નું ઉતસર્જન થાય છે. આ રીપોર્ટ નાસાના ઓઝોન મૉનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સેટલાઇટના ડેટાના આધારે ગ્રીનપીસ નામની સંસ્થાએ તૈયાર કર્યો છે.
અમેરિકાની અવકાશ એજન્સી NASAએ ઉપગ્રહ દ્વારા 20 કોલસા આધારિત પાવર પ્લાન્ટવાળા શહેરોના પ્રદુષણનો અભ્યાસ અને પછી એક રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં આ જાણકારી સામે આવી છે. સમગ્ર વિશ્વના અવકાશ પર કેવી રીતે સલ્ફર ડાયોક્સાઈડનું સ્તર છવાયેલું છે અને તેમાં પણ ભારતના અવકાશ પર સલ્ફર ડાયોક્સાઈડનું સ્તર કેટલું ચિંતાજનક હદે વ્યાપેલું છે. ભારતમાં મધ્યપ્રદેશના સીન્ગ્રુલી, છત્તીસગઢના કોરબા, ઓડિસાના તાલચેર, તામિલનાડુના ચેન્નઇ અને નાયવેલી, તેલંગણાના રામાગુડામ, મહારાષ્ટ્રના ચંદ્રપુર અને કોરાડીમાં એસઓ2 એટલે કે, સલ્ફર ડાયોક્સાઇડનાં હોટસ્પોટ મળી આવ્યાં છે.
આ અહેવાલે સમગ્ર ભારત સાથે ગુજરાતની ચિંતામાં પણ વધારો કર્યો છે. કેમ કે, સૌથી વધુ વાયુ પ્રદૂષણ ફેલાવતા શહેરોમાં ગુજરાતના પણ 3 શહેરોના નામ શામેલ છે. ગુજરાતના હઝીરા, મુદ્રા અને કચ્છનાં પાવર પ્લાન્ટનું નામ આ મામલે સામે આવ્યું છે. કોલસાના દહનથી એન્થ્રોપોજેનિક સલ્ફર ડાયોક્સાઇડના ઉત્પન્ન થાય છે આથી જે જગ્યા પર પાવર પ્લાન્ટ આવેલા છે તે વિસ્તારમાં SO2 (સલ્ફર ડાયોક્સાઇડ)નું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. કચ્છમાં ભૂકંપ બાદ અપાયેલા ટેક્સ હોલિડે અને ત્યાર બાદ આવેલા અનેક ઔદ્યોગિક એકમોને કારણે કેટલાંક ફાયદા જરૂર થયા છે. પરંતુ તેની વરવી બાજુ પણ હવે દેખાઇ રહી છે. એક તરફ કચ્છની વન્ય સંપદા નષ્ટ થઇ રહી છે. તો બીજી બાજુ કચ્છના વાતાવરણમાં પ્રદુષણની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઇ રહી છે.
દુનિયામાં હવા પ્રદુષણની લોકોના સ્વાથ્ય પર ગંભીર અસર થઈ રહી છે. લાખો લોકો હવા પ્રદુષણથી મોતને ભેટે છે. સલ્ફર ડાયોક્સાઈડ ગેસથી નાક, ગળા અને ફેફસાંને નુકસાન થાય છે. આ ગેસની અસરથી ઉધરસ આવે છે અને ગભરામણ થાય છે. વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ગેસના સંપર્કમાં આવતા છાતીમાં દુખાવો થઈ શકે છે. ગેસના સંપર્કમાં આવ્યાની 15 મિનિટમાં અસર શરૂ થાય છે. તેવામાં હવે કચ્છમાં પણ સલ્ફર ડાયોક્સાઇડની ભયજનક હાજરી જોવા મળી છે. ત્યારે રાજ્યનાં નાગરિકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. પરંતુ પ્રદુષણને નાથવા માટે કોઇ ઉપાય તો ઠીક હાલ તંત્ર આ અંગે કઇ વિચારી પણ રહ્યું હોય તેવું જણાતું નથી.