સમગ્ર દુનિયા કોરોના વાયરસના સંકટથી લડી રહી છે. કોરોના વાયરસના ભારતમાં પણ કેસ વધતા જઈ રહ્યા છે ત્યારે દેશમાં વધુને વધુ ટેસ્ટ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ટેસ્ટ કરવામાં મદદરૂપ એન્ટીબોડી કિટ વિકસાવવામાં ભારતની એક કંપનીને સફળતા પ્રાપ્ત થઇ છે.
ટેસ્ટ કિટમાં સામાન્યપણે દર્દીના લોહીનાં સેમ્પલ લેવામાં આવે છે
15 થી 20 મિનીટમાં રિપોર્ટ આવી જાય છે
કિટને NIV તરફથી ગ્રીન સિગ્નલ મળ્યું
કોરોના વાયરસ ભારતમાં પગપેસારો કરી રહ્યો છે ત્યારે ભારતની HLL લાઈફકેર લિમિટેડે કોરોના વાયરસની એન્ટીબોડી કિટ વિકસાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ કિટને NIV તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર હવે આ કિટને વપરાશ માટે મંજુરી આપી દેવામાં આવી છે. દર્દીના સિરમ, પ્લાઝમા અને લોહીની મદદથી આ કિટ કોરોના ટેસ્ટ કરવામાં સક્ષમ છે. આ કંપની કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ કામ કરે છે.
શું છે એન્ટીબોડી કિટ :
નોંધનીય છે કે એન્ટીબોડી બ્લડ ટેસ્ટ કિટમાં સામાન્યપણે દર્દીના લોહીનાં સેમ્પલ લેવામાં આવે છે. આ ટેસ્ટ કર્યાનાં 15 થી 20 મિનીટમાં રિપોર્ટ આવી જાય છે. આંગળીઓમાં સોઈ નાખીને લોહી લેવામાં આવે છે જે બાદ જાણ થાય છે કે શંકાસ્પદ વ્યક્તિના લોહીમાં કોરોના વાયરસથી લડવા માટે એન્ટીબોડી કામ કરી રહ્યા છે કે નહીં.
શા માટે ફાયદાકારક છે કિટ ?
નોંધનીય છે કે રેપિડ એન્ટી બોડી બ્લડ ટેસ્ટની મદદથી તે જાણી શકાતું નથી કે કોરોના સંક્રમણ છે કે નહી પરંતુ આ ટેસ્ટની મદદથી તે જાણી શકાય છે કે કયા વિસ્તારમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ટેસ્ટ તે લોકો માટે વધુ ફાયદાકારક છે જેમનામાં કોરોના વાયરસનાં લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી.
જો રેપિડ એન્ટીબોડી બ્લડ ટેસ્ટમાં નેગેટિવ આવે તે બાદ તે દર્દીનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો. અને તે રિપોર્ટ પોઝિટિવ આવે તો દર્દીને આઈસોલેટ કરી તેના સંપર્કમાં આવેલ વ્યક્તિઓની શોધખોળ શરુ કરી દેવામાં આવે છે.