ભારતમાં અત્યાર સુધીમાં બાવન સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ ચૂકી છે અથવા તેને આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનો દરજ્જો મળેલો છે. દેશનાં આ બાવનમાંથી ૩૧ સ્ટેડિયમ પર હવે મેચ રમાતી નથી.
દુનિયામાં બાવન ક્રિકેટ સ્ટેડિયમ સાથે ભારત પ્રથમ
૨૩ સ્ટેડિયમ સાથે ઈંગ્લેન્ડ બીજા સ્થાને છે
ભારતમાં ક્રિકેટની દીવાનગી અંગે કોઈ સવાલ ઉઠાવી શકે તેમ નથી. દેશના દરેક ખૂણાના લોકો ક્રિકેટ પાછળ પાગલ છે. ભારતમાં અત્યાર સુધીમાં બાવન સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ ચૂકી છે અથવા તેને આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમનો દરજ્જો મળેલો છે. દેશનાં આ બાવનમાંથી ૩૧ સ્ટેડિયમ પર હવે મેચ રમાતી નથી. આ ૩૧ સ્ટેડિયમને હવે નિવૃત્ત માનવામાં આવી રહ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે એક પણ સ્ટેડિયમ ક્રિકેટરના નામ પર નથી. છેલ્લે જ્યારે કોઈ સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું એ દિલ્હીનું ફિરોજશાહ કોટલા હતું. તેનું નામ બદલીને ભાજપના દિવંગત નેતા અરુણ જેટલી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું હતું.
ભારત પાસે કુલ બાવન ક્રિકેટ સ્ટેડિયમ
સ્ટેડિયમની વાત કરવામાં આવે તો ભારત દુનિયામાં પ્રથમ સ્થાન પર છે. ભારત પાસે કુલ બાવન ક્રિકેટ સ્ટેડિયમ છે. બીજો નંબર ઈંગ્લેન્ડનો આવે છે, જ્યાં ૨૩ સ્ટેડિયમ છે. ભારત પાસે ઈંગ્લેન્ડ કરતાં ૨૯ સ્ટેડિયમ વધુ છે. દેશનાં ૩૧ સ્ટેડિયમમાં હાલ મેચ રમાતી નથી. ભારતમાં પ્રથમ ટેસ્ટ મેચ ૧૯૩૩માં મુંબઈના જિમખાના ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આ મેદાન પર હવે મેચ રમાતી નથી. ભારતમાં પ્રથમ વન ડે મેચ અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાઈ હતી. નવરંગપુરાના આ સ્ટેડિયમ પર હવે આંતરરાષ્ટ્રીય મેચ રમાતી નથી, કારણ કે અમદાવાદ ખાતેની મેચ હવે મોટેરા સ્ટેડિયમમાં રમાય છે, જેને તાજેતરમાં રિનોવેટ કરી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં તબદિલ કરી દેવામાં આવ્યું છે.
સૌથી વધુ મેચ ઈડન ગાર્ડન્સમાં
ભારતમાં સૌથી વધુ મેચ આયોજિત કરવાની તક કોલકાતાના ઈડન ગાર્ડન્સને મળી છે. આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ ૭૯ આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ ચૂકી છે. આ મામલામાં બીજા સ્થાન પર દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ છે, જ્યાં ૬૫ મેચ રમાઈ ચૂકી છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ્ અને બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ૫૬-૫૬ મેચ રમાઈ ચૂકી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ૫૪ મેચ રમાઈ ચૂકી છે.
સ્ટેડિયમનાં નામ નેતાઓ અથવા કોઈ ખાસ વ્યક્તિના નામ પર રાખવાની પરંપરા
દેશમાં હાલ ૨૧ સક્રિય સ્ટેડિયમ છે, જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાય છે, જેમાંથી નવ સ્ટેડિયમનાં નામ કોઈ 'ખાસ' વ્યક્તિ પર રાખવામાં આવ્યાં નથી. આમાં કોલકાતાનું ઈડન ગાર્ડન્સ, મુંબઈનું બ્રેબોર્ન, કટકનું બારાબતી, નાગપુરનું વિદર્ભ, પુણેનું મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમ, રાજકોટનું સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમ, રાંચીનું જમશેદપુર સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, ધર્મશાલાનું હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, તિરુવનંતપુરમનું ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ સામેલ છે. ભારતનાં ઘણાં સ્ટેડિયમનાં નામ નેતાઓ અથવા કોઈ ખાસ વ્યક્તિના નામ પર રાખવાની પરંપરા છે. આથી જ ભારતમાં કોઈ ક્રિકેટરના નામ પર સ્ટેડિયમ છે નહીં.