સ્વચ્છતા, ઝડપ અને નિયમિતતા માટે વખણાતી બીઆરટીએસ બસ સર્વિસમાં હવે વધુ ને વધુ ઇલેિકટ્રક બસ દોડતી થાય તે દિશામાં સત્તાવાળા દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે. ઇલેિકટ્રક બસ માટે જરૂરી ચાર્જિંગ સ્ટેશન પણ ઊભું કરાયું છે. રાણીપ ખાતે દેશના પ્રથમ એવા સ્વેપ ટેકનોલોજી આધારિત ઇ-બસ ચાર્જિંગ સ્ટેશનનું આવતી કાલે લોકાર્પણ થશે.
બીઆરટીએસમાં પહેલાં ડીઝલ બસ બાદમાં સીએનજી બસ અને હવે ઇલેકટ્રિક બસ દોડતી કરવા પર તંત્ર દ્વારા ભાર મુકાઇ રહ્યો છે. હાલમાં ૧૦ ઇલેકટ્રિક બસ બીઆરટીએસ કોરિડોરમાં દોડી રહી છે. આવતી કાલે વધુ ૮ ઇલેકટ્રિક બસ દોડતી કરાશે.
આમ, બીઆરટીએસના પેસેન્જરને કુલ ૧૮ ઇલેકટ્રિક બસની સુવિધાનો લાભ મળશે. બેટરી ઓપરેટેડ ઇલેકટ્રિક બસના ઉપયોગથી વાયુ પ્રદૂષણ થતું ન હોઇ આ પ્રયોગ શહેરની આરોગ્ય સુુખાકારી માટે આવકાર્ય છે.
જાણકાર સૂત્રો વધુમાં કહે છે, બેટરી ઓપરેટેડ ઇ-બસને ચાર્જ કરવા માટે દેશમાં પહેલી વખત સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ અમદાવાદમાં કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજી હેઠળ રાણીપમાં રૂ.એક કરોડથી વધુના ખર્ચે અતિ આધુનિક ચાર્જિંગ સ્ટેશન બનાવાયું છે.
ઇ-બસના ચાર્જિંગ માટે ફાસ્ટ ચાર્જિંગ અને સ્વેપ ચાર્જિંગ એમ બે પદ્ધતિ વિશ્વમાં પ્રચલિત છે. ભારતમાં પ્રથમ વાર ઉપયોગમાં આવનારી સ્વેપ ટેકનોલોજીથી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં દોડનારી તમામ ઇલેિકટ્રક બસની રોબોટથી બેટરી બદલાશે.
જ્યારે પણ કોઇ બસની બેટરી ર૦ ટકાનું માપ બતાવે ત્યારે તે ઇલેિકટ્રક બસ રાણીપના ચાર્જિંગ બસ સ્ટેશને પહોંચી પોતાની ડિસ્ચાર્જ થયેલી બેટરી બદલી રોબોટ દ્વારા નવી બેટરીનો સમાવેશ કરશે.
ત્યારબાદ આ રોબોટ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ઓટોમેટિકલી ચાર્જિંગમાં મૂકશે. આગામી સમયમાં બીઆરટીએસ કોિરડોરમાં તબક્કાવાર મળી કુલ પ૦ ઇલેિકટ્રક બસ દોડતી થશે. ઇલેકટ્રિક બસ માટેનું આ ચાર્જિંગ સ્ટેશન વધુ ને વધુ ઇલેકટ્રિક બસ માટે ઉપયોગી બને તે પ્રકારની ડિઝાઇન ધરાવે છે.