લોકસભાની ર૦૧૪ની ચૂંટણીમાં પ્રચારમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ એક વિશિષ્ટ પાસું બની રહ્યો હતો. એ જ સોશિયલ મીડિયાનો ચૂંટણી પ્રચારમાં દૂરુપયોગ આ વખતે ચૂંટણી પંચ માટે શિરદર્દ બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર નિયંત્રણ આસાન નથી અને તેના પર નજર રાખવાનું પણ એટલું જ મુશ્કેલ છે. ચૂંટણી પંચ માટે આ વખતે સૌથી મોટી સમસ્યા ‘ફેક ન્યૂઝ’ યાને ઉપજાવી કાઢેલા, બનાવટી, ખોટા સમાચારોને ફેલાતા અટકાવવાની છે.
ચૂંટણી પંચને એટલી સમજ તો પડી છે કે બનાવટી સમાચારો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી શકે છે તેમ પરિણામો પર પણ અસર જન્માવી શકે છે અને એટલે જ ચૂંટણી પંચે સોશિયલ મીડિયાનાં તમામ મંચોને તેમને ત્યા્ં જ ઉપજાવી કાઢેલા સમાચારોના પ્રસારને અટકાવવા માટે પ્રભાવી તંત્ર ઊભું કરવા માટે પગલાં લેવા પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે. ચૂંટણી પંચને તેમાં કેટલી સફળતા મળશે એ સવાલ છે, પરંતુ આ કવાયતના પ્રતિભાવ રૂપે સોશિયલ મીડિયાના કેટલાક માધ્યમોએ એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે અને તેના ભાગરૂપે જ ગત દિવસોમાં ફેસબુકે તેના ૧૧૦૦થી વધુ પેજ બંધ કરી દીધાં. તેમાં ૬૮૭ પેજ કોંગ્રેસ પક્ષનાં હતાં. ફેસબુકે તેને માટે કારણ આપતાં એવું કહ્યું છે કે તેની તપાસમાં એવું જણાયું હતું કે લોકોએ આ પેજ બનાવવા માટે બનાવટી ખાતાંનો ઉપયોગ કર્યો અને બીજાં ગ્રૂપોમાં સામેલ થઇને પોતાની ઉપજાવી કાઢેલી સામગ્રીનો પ્રચાર-પ્રસાર શરૂ કર્યો હતો.
સૈદ્ધાંતિક રીતે તો એવું જ માનવામાં આવે છે કે સેવા પૂરી પાડનાર કંપનીના નિયમો અને શરતોનો ભંગ કરનાર અથવા જે ઉપજાવી કાઢેલા સમાચારોના પ્રચાર-પ્રસાર સાથે સંકળાયેલા છે એવા વેબ પેજ અને એવી બધી સામગ્રી યાને કન્ટેન્ટને હટાવવાનો અધિકાર છે, પરંતુ બનાવટી કન્ટેન્ટ અને સમાચારોના વ્યાપક પ્રચાર-પ્રસારને લક્ષમાં લઇને ફેસબુકે પ્રથમ તબક્કાના મતદાનના થોડાં સપ્તાહો પહેલાં કાર્યવાહી તો કરી, પરંતુ એ કાર્યવાહી વિવાદનો વિષય બની છે.
એટલે આ મુદ્દો જલદી ભૂલાવાનો નથી. આપણે હવે એ વાત સ્વીકારીને ચાલવું પડશે કે દેશ સમક્ષની એક મોટી સમસ્યા બનાવટી સમાચારોની છે. આવા બનાવટી સમાચારો માત્ર દેશમાં રહેતા લોકો જ નહીં, પરંતુ સરહદ પારના ‘નોન સ્ટેટ એકટર્સ’ એટલે કે અસામાજિક તત્ત્વો પણ આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. આવા ખોટા અને ઉપજાવી કાઢેલા સમાચારોનો પ્રચાર-પ્રસાર આપણા દેશના માહોલને ખરાબ કરવાની સાથો સાથ ભારતના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડતાને પણ નુકસાન પહોંચાડે છે. એથી તેને અટકાવવા માટે વ્યાપક પ્રયાસ જરૂરી છે.
અલબત્ત, આપણે એ પણ જાણી લેવું જોઇએ કે ભારતમાં બનાવટી સમાચારોના પ્રતિકાર અને નિયંત્રણ માટે કોઇ નક્કર કાયદો નથી. મલેશિયા જેવા દેશમાં પણ બનાવટી સમાચારનાં નિયંત્રણ માટે કાયદો છે અને તેનું કારણ એ પણ છે કે સરકાર આવું કશું વિચારે એટલે તરત જ વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યકિતના સ્વાતંત્ર્ય જેવા રૂપાળા ઓઠાં હેઠળ તેનો વિરોધ કરવા અસંખ્ય લોકો કૂદી પડવા તત્પર હોય છે. ભારતમાં ખોટી વાતો અને દૂષણોનો વાહિયાત બચાવ કરનારાઓની એક આખી જમાત અસ્તિત્વ ધરાવે છે તેને માટે દેશ અને સમાજનાં હિતો કરતાં વ્યકિતગત હિત અને અધિકારનું મહત્ત્વ વિશેષ હોય છે. ભારતનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી-ર૦૦૦નો અધિનિયમ પણ આ બાબતમાં કોઇ કામનો નથી.
કેમકે તેમા ફેક ન્યૂઝ યાને બનાવટી સમાચારનો ઉલ્લેખ જ નથી. સ્વાભાવિક છે કે એ વખતે આ દૂષણનું અસ્તિત્વ જ ન હોય તો તેને માટેની જોગવાઇનો કોઇને વિચાર નહીં આવ્યો હોય, પરંતુ હવે એ દિશામાં વિચારીને આગળ વધવાનું અનિવાર્ય બનતું જાય છે. ફેક ન્યૂઝ પ્રત્યેનું આપણું નરમ વલણ આ સમસ્યાને વધુ વકરાવે તેવી શક્યતા છે. તેના પ્રત્યે ઉદાર વલણથી સમાસ્યાનો અંત આવવાનો નથી. અલબત્ત, હવે આવું કાંઇ કરવાનું આવે તો પણ ચૂંટણી પછી સત્તા પર આવનાર નવી સરકારની એ માટેની જવાબદારી બની રહેવાની છે, પરંતુ એ પહેલાં સરકારને ફેક ન્યૂઝ સામે કાયદો ઘડવા માટે મજબૂર બનાવવા, ફરજ પાડવા દેશમાં ચર્ચા-સંવાદ દ્વારા વ્યાપક સંમતિનો એક માહોલ સર્જવાનું પણ અનિવાર્ય બની રહેવાનું છે.
એ જ રીતે સોશિયલ મીડિયાની સેવા પૂરી પાડનાર માધ્યમોના સંચાલકો, નિયામકોની ભૂમિકાને પણ આ સંદર્ભમાં નવેસરની પરિભાષિત કરવી જોઇએ એટલે સેવા પૂરી પાડનાર કંપનીઓની જવાબદારી પણ નિર્ધારિત થવી જોઇએ. જેને ‘નેટિજેન’ કહેવામાં આવે છે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર સમુદાય પણ બનાવટી સમાચાર, ફેક ન્યૂઝ વિરુદ્ધ સંવેદનશીલ બને અને આવી પ્રવૃત્તિની ઉપેક્ષા કરવાની મનોવૃત્તિમાંથી બહાર આવે એવા ઉપાયો પણ વિચારવા પડશે. શુદ્ધ સમાચારોની સુરક્ષા માટે પણ એ જરૂરી છે.•