કુલભૂષણ જાધવ(Kulbhushan Jadhav) મામલે આવતીકાલે(બુધવારે) આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચુકાદો આવશે. નોંધનીય છે કે, પાકિસ્તાને જાધવને ફાંસીની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના ખોટા આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી.
ઉલ્લેખનીય છે કે, જાધવ વિરુદ્ધ પાકિસ્તાન સેનાના ટ્રાયલને ભારતે પડકાર્યો છે અને ભારત આ મામલે આઈસીજેમાં પહોંચ્યું હતું અને તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. આઇસીજેએ જાધવને લઇને કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો હતો.
આપને જણાવી દઇએ કે, ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય કોર્ટે આ મામલામાં ચાર દિવસ સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાને પોતપોતાની દલીલો રજૂ કરી હતી. દલિલો પૂર્ણ થતા હવે આ મામલે બુધવારે ચુકાદો આવશે.
સવા સો કરોડ ભારતીયોના દિલમાં આશા
આ પહેલા ભારત તરફથી રજૂ થયેલ દીપક મિત્તલે કહ્યું કે આઇસીજેના છેલ્લા નિર્ણયને સવા સો કરોડ ભારતીયોના દિલમાં આશા જગાવી હતી. મિત્તલે જણાવ્યું કે પાકિસ્તાને એક નિર્દોષ ભારતીયના અધિકારોનું હનન કરીને ઇન્ટરનેશનલ કોર્ટના ઓર્ડરનું યોગ્ય રીતે પાલન ન કર્યું.
દીપક મિત્તલ બાદ હરીશ સાલ્વે કુલભૂષણ જાધવ તરફથી રજૂ થયા. તેમણે પોતાની વાતની શરૂઆત વિયના સંધિથી કરી અને કહ્યું કે પાકિસ્તાને તેનું પાલન નથી કર્યું. સાલ્વેએ જણાવ્યું કે પાકિસ્તાન વિયના કન્વેનશના આર્ટિકલ 36 હેઠળ જાધવ માટે કાઉન્સલરનો એક્સેસ નથી આપી રહ્યા.