કાશ્મીર અને CAA-NRC જેવા મુદ્દાઓ પર મલેશિયા કેટલાક સમયથી ભારતની વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યું છે. આ ઉપરાંત તે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ દબાણ ઉભા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તે હવે ભારત સાથે સુલેહ કરવાની રીત શોધી રહ્યું છે.
ભારતે મલેશિયાથી આવતા પામઓઈલની આયાતમાં કાપ મુક્યો
મલેશિયાના વડાપ્રધાન ગભરાયા; કહ્યું ભારત સામે પડવા માટે મલેશિયા ખૂબ નાનો દેશ
ભારત તરફથી પામઓઇલની આયાતમાં ઘટાડા બાદ મલેશિયાની મુશ્કેલીઓ સામે આવી છે. મલેશિયાના વડા પ્રધાન મહાતિર મહોમ્મ્દે હવે કહ્યું છે કે તે ભારતને જવાબ આપવા માટે ખૂબ જ નાનો દેશ છે.
આવી સ્થિતિમાં મલેશિયા સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે મલેશિયાથી પામ ઓઇલની ખરીદી પર કાપ મૂક્યો છે, ત્યારબાદ મલેશિયાના વડા પ્રધાન તરફથી આ નિવેદન આવ્યું છે. રિપોર્ટ અનુસાર ભારત સરકાર એ વાતથી નારાજ છે કે મલેશિયા સતત કાશ્મીર અને નાગરિકત્વ કાયદા જેવા મુદ્દાઓ પર નિવેદનો આપે છે.
ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદે કહ્યું, "બદલાની ભાવનાથી પગલાં ભરવા માટે અમે ખૂબ નાના દેશ છીએ. આપણે આ વિવાદમાંથી બહાર નીકળવા માટે ઉપાય શોધવા જોઈએ.
મલેશિયાને જડબેસલાક જવાબ
પામઓઇલ ના ઉત્પાદનમાં મલેશિયા બીજા ક્રમે છે. ભારતમાંથી પામઓઇલની આયાતમાં કાપ આવ્યા પછી મલેશિયામાં પામઓઇલના ભાવ 11 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. કિંમતોમાં ઘટાડાને લીધે મલેશિયા ખૂબ પરેશાન છે અને હવે તે ભારત સાથે પુનર્વિચાર માટે માર્ગ શોધી રહ્યો છે. ભારતમાં કુલ ખાદ્યતેલના ત્રીજા ભાગ જેટલું પામઓઇલ વપરાય છે. ભારત વાર્ષિક 9 મિલિયન ટન પામઓઇલની આયાત કરે છે. મોટે ભાગે તે ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત કરવામાં આવે છે.
આવતા અઠવાડિયે વાતચીત થશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે મલેશિયાના વ્યાપાર મંત્રી ડેરેલ લિકિંગ આવતા અઠવાડિયે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ની બેઠકમાં પિયુષ ગોયલ સાથે વાત કરી શકે છે. જોકે, પિયુષ ગોયલે કહ્યું કે સરકારે મલેશિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.
ભારતના વિરુદ્ધમાં નિવેદનબાજી
છેલ્લા કેટલાક સમયથી મલેશિયા કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મુદ્દે વિરોધ કરી રહ્યું છે. ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મલેશિયાના વડા પ્રધાન મહાથિર મોહમ્મદે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો ઉછાળ્યો હતો.