ભારતમાં ઘણા દિવસો બાદ દૈનિક કોરોના વાયરસ કેસમાં રાહત મળી છે, કોરોનાના એક્ટિવ કેસ હવે ત્રણ મહિના પહેલાના કેસ જેટલા જ થઇ ગયા છે.
ભારતમાં ઘટ્યા કોરોના વાયરસના એક્ટિવ કેસ
ભારતમાં અત્યારે ઓગસ્ટ જેટલા એક્ટિવ કેસ બચ્યા
દેશમાં રિકવરી રેટ 91.15 ટકા જ્યારે મૃત્યુદર 1.50 ટકા
કોરોના સામે જીતી રહ્યું છે ભારત
દેશમાં આશરે ત્રણ મહિના બાદ કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને છ લાખની નીચે અવી ગઈ છે જે કુલ કેસના 7.35 ટકા છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર કોરોના સામેની લડાઈમાં ભારતે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હવે હાંસલ કરી લીધી છે.
એક્ટિવ કેસની સંખ્યામાં ભારતને મોટી રાહત
ભારતમાં આજે હવે 5,94,386 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જ્યારે આજ પહેલા છઠ્ઠી ઓગસ્ટે કોરોના દર્દીઓની સંખ્યા 5.95 લાખ હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે કારણ કે વર્તમાનમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 7.35 ટકા છે.
મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસથી સાજા થનાર લોકોની સંખ્યા સૌથી વધારે છે. સારવાર લઇ રહેલા દર્દીઓ અને સાજા થઇ જનાર દર્દીઓ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.
સાજા થવાનો દર સતત વધી રહ્યો છે
નોંધનીય છે કે કોરોના વાયરસને મ્હાત આપનાર દર્દીઓમાંથી 80 ટકા દર્દીઓ દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનાં છે. કેરળમાં એક જ દિવસમાં આઠ હજાર જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સાત હજારથી વધુ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા શુક્રવારે વધીને 80,88,851 થઇ ગઈ છે જેમાં એક જ દિવસમાં 48,648 કેસ નવા આવ્યા છે. દેશમાં રિકવરી રેટ વધીને 91 ટકાએ પહોંચી ગયો છે જ્યારે કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા 1,21,090 છે. ભારતમાં સાજા થવાનો દર 91.15 ટકા છે જ્યારે મૃત્યુદર 1.50 ટકા છે.