તાજેતરમાં India Corruption Survey 2019 દેશના 2 લાખ લોકો ઉપર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લોકોને કેટલી વખત લાંચ આપવામાં આવી છે, કયો વિભાગ સૌથી વધુ લાંચખોર છે વગેરે જેવા સવાલો પૂછવામાં આવ્યા હતા. આ સર્વે ઓક્ટોબર 2018થી નવેમ્બર 2019 સુધી ચાલ્યો હતો.
ગુજરાતમાં પોલીસ વિભાગ છે સૌથી વધુ લાંચખોર : સર્વેનો અહેવાલ
સૌથી ઓછો ભ્રષ્ટાચાર કેરળમાં અને સૌથી વધુ રાજસ્થાનમાં
દેશની 51% જનતાએ છેલ્લા એક વર્ષમાં આપી છે લાંચ
કોણે કર્યો છે આ સર્વે?
આ સર્વે Transparency International નામના એક સંગઠને કર્યો છે. આ સંગઠનમાં વર્લ્ડ બેન્કના માજી સભ્યો, જાણીતા પત્રકારો, જાણીતા અર્થશાસ્ત્રીઓ વગેરે નિષ્ણાતો જોડાયેલા હોય છે.
નોંધનીય છે કે આ સંસ્થાએ તાજેતરમાં 180 દેશોનો Corruption Perception Index લીધો હતો. આ સર્વેમાં ભારતનો ક્રમ 78મો હતો. પ્રથમ ક્રમે સૌથી ઓછા ભ્રષ્ટાચાર સાથે ડેનમાર્ક દેશ હતો.
કેટલા રાજ્યોનું સર્વેક્ષણ લેવાયું?
આ સર્વે માટે Transparency Internationalએ Local Circles નામના એક NGOની મદદ લીધી હતી. તેમણે દેશના 20 રાજ્યોના 248 જિલ્લાઓને આવરી લીધા હતા. અહીં નોર્થ ઇસ્ટના રાજ્યો, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
કયા રાજ્યો છે દેશના સૌથી ભ્રષ્ટાચારી રાજ્યો?
રાજ્યો
કેટલા % લોકોએ કોઈ એક વિભાગને લાંચ આપી હોવાનું સ્વીકાર્યું?
રાજસ્થાન
78%
બિહાર
75%
ઝારખંડ
74%
ઉત્તર પ્રદેશ
74%
તેલંગાના
74%
પંજાબ
63%
કર્નાટક
63%
તમિલનાડુ
62%
કયા રાજ્યો છે સૌથી ઓછા ભ્રષ્ટાચારી?
દેશનું સૌથી ઓછું ભ્રષ્ટાચારી રાજ્ય કેરળ છે જ્યાં ફક્ત 10% લોકોએ લાંચ આપી હોવાનું સ્વીકાર્યું હતું. બીજા ઓછા ભ્રષ્ટાચારી રાજ્યોમાં ગોવા, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હીનો સમાવેશ થાય છે.
રાજ્યોએ સૌથી વધુ કયા કારણો માટે લાંચ આપી છે?
આપેલા નકશામાં ભૂરા રંગના રાજ્યોએ સૌથી વધુ લાંચ પોલીસને આપી છે. નોંધનીય છે કે આ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. આ સર્વેનું તારણ માનવામાં આવે તો ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટ બીજા તમામ વિભાગો કરતા સૌથી વધુ લાંચખોર છે તેમ સાબિત થાય છે.
કથ્થાઈ રંગના રાજ્યોમાં જમીન સંપાદન, સંપત્તિની નોંધણી જેવા પ્રોપર્ટીને લગતા વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે. જયારે કેસરી રંગના રાજ્યોમાં ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ટ્રાન્સપોર્ટ ઓફિસ, ટેક્સ ઓફિસ વગેરેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે. મધ્યપ્રદેશમાં વાદળી રંગ છે. અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થાય છે.
શું છે ગુજરાતની સરેરાશ?
ગુજરાતમાં સરેરાશ 48% લોકોએ છેલ્લા એક વર્ષમાં લાંચ આપી છે જે પૈકી 22% લોકોએ એક કે બે વખત લાંચ આપી છે જયારે 26% લોકોએ બે થી વધુ પ્રસંગોમાં લાંચ આપી છે. ગુજરાતમાં તમામ લાંચ આપનાર લોકોમાંથી સૌથી વધુ 41% લોકોએ સ્વીકાર્યું હતું કે તેમણે પોલીસને લાંચ આપી છે. 18% લોકોએ સંપત્તિની નોંધણી જેવા પ્રોપર્ટીને લગતા વિભાગોમાં લાંચ આપી છે જયારે 29% લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંચ આપી છે. 12% લોકોએ ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ટ્રાન્સપોર્ટ ઓફિસ, ટેક્સ ઓફિસ વગેરેમાં લાંચ આપી છે.
શું છે દેશની સરેરાશ?
દેશમાં છેલ્લા 1 વર્ષમાં 51% પ્રજાજનોએ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, પોલીસ, મ્યુનિસિપાલિટી જેવી ઓથોરિટીને પૈસા ખવડાવ્યા છે. આ જંગી આંકડો દેશમાં ઘર કરી ગયેલા ભ્રષ્ટાચારની સાબિતી આપે છે.