ઉત્તર કાશ્મીરમાં આંતકવાદીઓની સાથે ઘર્ષણમાં શહીદ થયેલા કર્નલ આશુતોષ શર્માના જયપુરમાં પૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. મિત્રોની વચ્ચે ટાઇગરના નામથી જાણીતા કર્નલ શર્માની પત્ની પલ્લવી અને તેમના ભાઇએ તેઓને મુખાગ્નિ આપી. જુની ચુંગી શ્મશાન ઘાટમાં આ સમયે શહીદના પરિવારજનોની સાથે-સાથે સૈન્ય અધિકારી હાજર હતા.
શહીદની પત્ની પલ્લવીએ સ્વંયને હિંમત આપતા આંખમાં આસૂ સાથે તેઓને સલામી આપી. આ પહેલા શહીદ કર્નલ શર્માના પાર્થિવ દેહને જયપુર મિલિટ્રી સ્ટેશનના 61માં કેવલરી ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં મુખ્યમંત્રી અશોક ગહલોત અને દક્ષિણ પશ્ચિમી કમાનના કમાન્ડર આલોક કલેર, અન્ય અધિકારીઓ અને પરિવારજનોએ શહીદને પૂષ્પાંજલિ અર્પણ કરી.
આ ઉપરાંત મુખ્યમંત્રી ગહલોતે હાજર શહીદ કર્નલ શર્માની પત્ની પલ્લવી અને તેમની પુત્રી અને ભાઇને મળીને સાત્વના આપી.
મુખ્યમંત્રીએ કર્નલ આશુતોષની શહીદીને નમન કરતા કહ્યું કે રાજસ્થાન વીરોની ધરતી છે. તેઓએ કહ્યું કે કર્નલ આશુતોષે આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થઇને દેશને ગૌરવાન્વિત કર્યો છે. આપણા સૌને તેમની શહીદી પર ગર્વ છે.
21મી રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ શર્મા ઉત્તરી કાશ્મીરમાં હંદવાડા ક્ષેત્રના એક ગામમાં આતંકવાદીઓની સાથે ઘર્ષણમાં શહીદ થઇ ગયા હતા. તેમની સાથે મેજર અનુજ સુદ સહિત 4 અન્ય જવાનોએ પણ દેશની સુરક્ષા માટે જીવ આપી દીધો.
આજે મેજર અનુજ સુદના પણ ચંદીગઢમાં પૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મેજર સુદના પાર્થીવ દેહને તેમના પંચકૂલા સ્થિત ઘરેથી અહીંના મની માજરા શ્મશાન ઘાટ લાવતા સમયે માહોલ ઘણો ગમગીન થઇ ગયો હતો. મેજર સુદના પાર્થિવ દેહને સેનાની ગાડીમાં રાખતા પહેલા તેમની પત્ની આકૃત્તિ તેમને અલવિદા કહવા માટે શબપેટી પાસે પહોંચી ગયા હતા.
મેજર સૂદની બહેન હર્ષિતા પોતાની ભાભીને પંચકૂલા આવાસ પર અને શ્મશાન ઘાટ પર દિલાસો આપતા જોવા મળ્યા. હર્ષિતા પણ સેનામાં અધિકારી છે. તેમના પાર્થિવ શરીરને સોમવારે શ્રીનગરથી અહીં લાવવામાં આવ્યો હતો. 'વન્દે માતરમ', 'ભારત માતાની જય' અને 'મેજર અનુજ અમર રહે' ના નારા વચ્ચે તેમના તિરંગામાં લપેટાયેલા પાર્થિવ શરીરને અંહી મની માજરા સ્થિત શ્મશાન ઘાટ લઇ જવામાં આવ્યો.
અંતિમ સંસ્કાર પહેલા, શહીદ મેજરના પાર્થિવ શરીર પર સેનાના સેવારત અને સેવાનિવૃત અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પિત કરી. એન્ટી ટેરેરિઝમ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ વીરેશ શાન્ડિલ્યએ મેજરને પૂષ્પાંજલિ અર્પિત કરતા 'પાકિસ્તાન મુર્દાબાદ' અને 'ભારત માતાની જય' ના નારા લગાવ્યા.
મેજના અંતિમ સંસ્કાર સમયે શ્મશાન ઘાટની અંદર પરિવારના સભ્યોને જવાની મંજૂરી અપાઇ હતી. જેથી કોરોના વાયરસ મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પાલન થઇ શકે. સેનાના ઘણા વરિષ્ઠ અધિકારી અને મેજર સુદની પત્ની, પિતા, બહેન સહિત પરિવારના સભ્ય દાહ સંસ્કાર દરમિયાન હાજર હતા. શહીદ અધિકારીઓને બંદૂકોથી સલામી આપવામાં આવી.