જમ્મુ-કાશ્મીરમાંથી કલમ- 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. ભારત સરકારના આ નિર્ણય બાદ પાડોશી દેશ પાકિસ્તાન ગિન્નાયું છે અને તે વિશ્વના મંચ પર પોતાના માટે સહાનુભૂતિની માંગ કરી રહ્યો છે. આ સિલસિલા વચ્ચે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી પોતાના સૌથી 'વિશ્વાસપાત્ર મિત્ર' ચીનનો દરવાજો ખટખટાવવા પહોંચ્યા છે.
ભારતના આક્રમક વર્તનથી કાશ્મીરના લોકો પરેશાન : પાક
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ દાવો કર્યો હતો કે ચીને સ્વીકાર્યું છે કે ભારતના આક્રમક વર્તનથી કાશ્મીરના લોકો પરેશાન છે અને સમગ્ર વિસ્તારના લોકોને જોખમમાં મૂક્યા છે.
પાકિસ્તાન વિશ્વ સામે ઉઠાવશે કાશ્મીરનો અવાજ
જોકે, ચીન દ્વારા પાકિસ્તાનના આ દાવા અંગે કોઇ પુષ્ટિ કરેલ નથી. પાકિસ્તાનના મતે તે શાંતિ અને સ્થિરતા લાવવા માંગે છે, જેને ચીને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે તે ચીન સાથે મળીને વિશ્વની સામે કાશ્મીરના લોકોનો અવાજ ઉઠાવશે.
એસ. જયશંકર પણ હાલ ત્રણ દિવસીય ચીન પ્રવાસે
આપને જણાવી દઈએ કે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાલ ત્રણ દિવસીય ચીન પ્રવાસે છે. વિદેશ મંત્રી એસ જયશંકરની ચીનની આ પહેલી મુલાકાત છે. તેમની મુલાકાત ત્યારે થઈ રહી છે જ્યારે ભારતે ગત અઠવાડિયે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી છે.
બેઇજિંગે ભારત સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો
આ સાથે ભારતે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરી છે. બેઇજિંગે ભારત સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. ચીનનું કહેવું છે કે ભારત સરકારના આ નિર્ણયથી તેની 'પ્રાદેશિક અખંડિતતા' ઉલ્લંઘન થાય છે. ચીન લદ્દાખને અડીને 'અક્સાઇ ચીન' પર ગેરકાયદે દાવા કરી રહ્યું છે. જ્યારે આ વિસ્તાર વર્ષોથી જમ્મુ-કાશ્મીર રાજ્યનો એક ભાગ છે.
હોંગકોંગમાં પ્રદર્શન
હોંગકોંગમાં હાલ પ્રત્યાર્પણ બિલ સામે ભારે વિરોધ ચાલી રહ્યો છે. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ગુનેગારોને કાયદેસર કાર્યવાહી માટે ચીનમાં પ્રત્યાર્પણ કરવામાં આવી શકે છે. હોંગકોંગમાં બિલનો વ્યાપક રીતે વિરોધ થઈ રહ્યો છે.
હોંગકોંગના લોકોએ આ બિલને તેમના લોકશાહી અધિકાર સાથે જોડ્યું છે. હોંગકોંગનું વહીવટીતંત્ર અને ચીની સરકાર આ પ્રદર્શનને કચડવા માટેના પ્રયાસ કરી રહી છે. હોંગકોંગમાં લોકશાહી ચળવળને કચડીને ચીન જમ્મુ-કાશ્મીરમાં સંભવિત દેખાવોને યોગ્ય ઠેરવી શકે નહીં.
ઉયગર મુસ્લિમ
ચીનના શિજિઆંગ પ્રાંતમાં 10 લાખ ઉયગર મુસ્લિમો ઉપર ચીની સામ્યવાદી શાસનનું દમન માનવાધિકારના ભંગનો મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલ સિવાય અન્ય ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ચીનના આ પગલાની નિંદા કરી છે.
માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, ચીની સરકાર ત્યાંના મુસ્લિમો પર તેમના ધાર્મિક મંતવ્યોનું અનાદર કરવા દબાણ લાવી રહી છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર આશરે 30 લાખ કેદખાનામાં લગભગ 10 લાખ મુસ્લિમોએ બંધ કરી દેવામાં આવ્યા છે. ચીની સરકાર અહીંના મુસ્લિમોની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહી છે.
તિબ્બત મુદ્દો
તિબ્બત પર હાલ ભલે ચીને અધિકાર જમાવી રાખ્યો હતો પરંતુ તિબ્બતની આઝાદીની માગ અહીં પણ સમયાંતરે ઉઠતી રહે છે. ભારતે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ને હટાવી તો ભારતમાં રહેતા તિબ્તના નિર્વાસિત સરકારના રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તિબ્બતની નિર્વાસિત સરકારના રાષ્ટ્રપતિ લોબસાંગ સાંગે ભારત સરકારના આ નિર્ણયને આંતરિક મુદ્દે ગણાવીને તેના વિશે કોઇ નિવેદન આપ્યું નહોંતુ.