છેલ્લા એક મહિનાથી ભારત અને ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 15 જૂને ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ દેશમાં ગુસ્સો છે. આ ગુસ્સો જોઇને સેનાને હવે સરકાર તરફથી છુટ આપવામાં આવી છે કે જો ચીની સૈનિકો દ્વારા ઉશ્કેરવામાં આવે તો તેમને યોગ્ય જવાબ આપવામાં આવે. આવી સ્થિતિમાં પ્રોટોકોલ જોવામાં આવે નહીં, બીજી તરફ ભારતે શાંતિ માટે પ્રયાસો ચાલુ રાખ્યા છે.
ભારત અને ચીન વચ્ચેના તણાવ યથાવત
ચીની સૈનિકોની ઉશ્કેરણીનો જવાબ આપવાની છુટ
આ અઠવાડિયે બન્ને દેશો વચ્ચે ફરી વાતચીત
રવિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય દળોના વડાઓ સાથે વર્તમાન વિવાદ પર પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યાનુંસાર સરકાર દ્વારા સેનાને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ કાર્યવાહી કરી શકે છે.
સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સૈનિકોના જીવ જોખમમાં હોય અને ચીની સૈનિકો ખતરનાક શસ્ત્રોનો ઉપયોગ કરે તો આત્મ રક્ષણ કરતી વખતે કોઈ પણ પ્રોટોકોલનો વિચાર ન કરો.
ઉલ્લેખનીય કે બંને દેશો વચ્ચે સમજૂતી છે કે કોઈ પણ સીમા પર ગોળીબાર કરશે નહીં. જોકે ચીને ફાયરિંગ કર્યા વિના જે રીતે તીવ્ર શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો તે પણ આ કરારનું ઉલ્લંઘન હતુ. એટલે કે જો હવે ચીની સૈનિકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે તો જવાબ આપતી વખતે કોઈ પ્રોટોકોલ વિશે વિચારવામાં આવશે નહીં.
વાતચીતનો માર્ગ ખુલ્લો છે
એક તરફ સેનાને ખુલ્લી મુક્તિ આપવામાં આવી છે. તો બીજી તરફ વાતચીતનો માર્ગ સંપૂર્ણ રીતે ખુલ્લો રાખવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાનુંસાર આ અઠવાડિયામાં બંને દેશો ફરી એકવાર સૈન્ય અને રાજદ્વારી કક્ષાની વાટાઘાટો કરી શકે છે.
આ વાતચીતમાં વર્તમાન તણાવ દૂર કરવા, સૈન્યને પીછેહઠ કરાવવા અને એપ્રિલથી પહેલાંની પરિસ્થિતિને લાગુ કરવા પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક તબક્કાની ચર્ચાઓ થઈ છે, પરંતુ આ મામલો બંને દેશો વચ્ચે કોઈ મેળ ખાધો નથી.
દરેક વાતચીતમાં ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચીની સૈન્યને સંપૂર્ણ પાછી ખેંચી લેવી જોઈએ અને એપ્રિલ પહેલા પરિસ્થિતિનો અમલ કરવો જોઇએ. પરંતુ ચીની સૈનિકો આ સ્વીકારવા તૈયાર નથી.
ભારત-ચીન વિવાદની વચ્ચે દેશમાં રાજકીય વાતાવરણ પણ ગરમ છે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ મોદી સરકાર પર સતત પ્રહાર કરે છે. વિપક્ષ સરકારને પરિસ્થિતિ સ્પષ્ટ કરવા તેમજ ચીન દ્વારા ગલવાન ખીણને જે રીતે પોતાની હોવાની જાહેરાત કરી છે તેનો યોગ્ય જવાબ આપવા કહી રહ્યા છે. જોકે વિદેશ મંત્રાલયે ચીનના આવા કોઈપણ દાવાને નકારી દીધો છે.