લદાખની સરહદ પર ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ ચરમસીમા પર છે. સોમવારે રાતે બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઇ જેમાં ભારતનાં બે જવાન અને ઓફિસર શહીદ થઇ ગયા. અહેવાલો મુજબ ભારતે પણ ચીન પર વળતો પ્રહાર કર્યો જેમાં ચીનના પાંચ સૈનિકો માર્યા ગયા હોવાનું સામે આવી રહ્યું છે જોકે ચીન તો પોતાનું નુકસાન છુપાવવામાં લાગી ગયું છે ચીન કેટલા જવાન શહીદ થયા તેના પર સ્પષ્ટતા આપવાના બદલે ભારત પર જ આરોપ લગાવી રહ્યું છે.
ભારતે ચીન પર કર્યો વળતો પ્રહાર
ચીન પોતાના શહીદોની સંખ્યા છુપાવવામાં લાગ્યું
ભારત અને ચીન વચ્ચે શાંતિ સ્થાપના માટે વાતચીતનો દોર
ચીને કહ્યું કેટલું નુકસાન થયું તે અત્યારે કહી ન શકાય
લદાખમાં ભારતીય સૈનિકોએ ચીન પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે જે બાદ ડ્રેગન હવે પોતાના શહીદ થયેલા સૈનિકોની સંખ્યા છૂપાવવામાં લાગી ગયું છે. ચીનના સરકારી અખબારના સંપાદક તરફથી કહેવામાં આવ્યું છે કે ચીનના સૈનિકોને પણ ભારે નુકસાન થયું છે પણ અત્યારે સંખ્યા કહી શકાય નહીં. ચીનના વિદેશ મંત્રાલયે પણ જે નિવેદન આપ્યું તેમાં સૈનિકોનું કેટલું નુકસાન થયું તેના પર કોઈ સફાઈ આપવામાં આવી નહીં પણ ભારતને કહ્યું કે માત્ર એકતરફી નુકસાન થયું છે તેમ ન કહેશો.
ચીનનું દોઢડહાપણ
મીડિયા અહેવાલો અનુસાર ચીનના પાંચ સૈનિકોની સંઘર્ષ દરમ્યાન મોત થઇ છે અને 11 જેટલા સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હૂ શીજીને કહ્યું, 'જેટલું હું જાણું છું ચીન તરફથી પણ આ અથડામણમાં કેટલાક સૈનિકોને નુકસાન થયું છે. હું ભારતને કહેવા માંગુ છું કે અહંકારી ન બનો અને અમારી ધીરજને કમજોરી ન સમજો. ચીન ભારત સાથે સંઘર્ષ નથી માંગતું પણ અમે ડરતાં પણ નથી.
બંને તરફ થયું નુકસાન
જ્યારે સવારે ભારતીય સેનાએ નિવેદન આપ્યું તેમાં પહેલા જણાવવામાં આવ્યું હતું કે સંઘર્ષમાં ભારતના બે જવાન અને એક ઓફિસરે શહીદી વહોરી છે જોકે થોડા સમય તે નિવેદનમાં ફેરફાર કરીને કહેવામાં આવ્યું કે બંને પક્ષમાં સૈનિકો શહીદ થયા. નોંધનીય છે કે જ્યારે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષના સમાચાર આવ્યા હતા તે બાદ જ્યારે ચીનના વિદેશ મંત્રાલયને સવાલ કરવામાં આવ્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ભારત એકતરફી કાર્યવાહી કરીને સમસ્યા ન ભડકાવે તો સારું.
વિદેશમંત્રીએ ભારતીય સેના પર લગાવ્યા આરોપ
ભારત-ચીન વચ્ચે સરહદ પર તણાવ વચ્ચે ચીનના વિદેશ મંત્રીએ ભારતની સેના પર આરોપ લગાવતા કહ્યું સોમવારે રાત્રી દરમિયાન ભારતના સૈનિકોએ બે વાર ચીનના સૈનિકોને ઉશ્કેર્યા અને સરહદ પાર કરવા પ્રયત્ન કર્યા જે બાદ બંને સેના વચ્ચે અથડામણ શરુ થયું. વિદેશમંત્રીએ કહ્યું કે ચીને ભારતને હાંકલ કરી છે કે તે પોતાના સૈનિકોને સરહદ ઓળંગતા રોકે અને એવા કોઈ નિર્ણયો ન લે જેનાથી તણાવમાં વધારો થાય. જે બાદ ભારત અને ચીન બંને દેશો વાતચીતથી આ સમસ્યાનું સમાધાન લાવવા માટે તૈયાર થયા છે. જેથી સરહદી વિસ્તારોમાં શાંતિની સ્થાપના કરી શકાય.
રક્ષામંત્રીએ તાબડતોડ બેઠક કરી
અહેવાલો અનુસાર ચીનનાં પણ કેટલાક સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા છે ત્યારે સેનાનાં સૂત્રો અનુસાર ભારત અને ચીનના મેજર જનરલ લદાખ, ગાલવાન ઘાટી અને અન્ય વિસ્તારોમાં તણાવ વચ્ચે શાંતિ સ્થાપના માટે વાતચીત કરી રહ્યા છે. નોંધનીય છે કે ચીન સાથે તણાવ વચ્ચે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે તાબડતોડ CDS જનરલ બીપીન રાવત, સેનાની ત્રણેય પાંખના વડા તેમજ વિદેશ મંત્રી ડૉ. જયશંકર સાથે બેઠક યોજી અને લદાખના પૂર્વ ભાગમાં સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી.
મે મહિનામાં શરુ થયું હતું ઘર્ષણ
નોંધનીય છે કે મે મહિનાની શરુઆતથી જ લદાખ સરહદ પર તણાવ છે. ચીનના સૈનિકો વારંવાર સીમા પાર કરી રહ્યા છે. ચાલબાજ ચીનના સૈનિકો ગાલવાન ઘાટી અને પેન્ગોગની નજીક આવી ગયા. ચીને ભારતને બીવડાવવા માટે હજારોની સંખ્યામાં સૈનિકોને બોર્ડર પર તૈનાત કરી દીધા. સૈન્ય સામાન પણ એકઠું કર્યું. બંને દેશ વચ્ચે વિવાદને શાંત કરવા માટે કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા. 6 જૂને કેટલાય તબક્કાઓમાં બેઠક યોજાઈ. બેઠકમાં લેફ્ટનન્ટ જનરલ લેવલના અધિકારીઓ સામેલ થયા. જે બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશની સેના કેટલાક કિમી પાછળ હટી જશે. જ્યારે આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ બંને દેશના સૈનિકો સામ સામે આવી ગયા અને અથડામણ શરુ થઇ.