ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદથી જ લદ્દાખમાં ભારત અને ચીનના સંબંધ તણાવભર્યા બન્યા છે. બંને દેશની સેના આધુનિક હથિયારોનો ભારે જથ્થો લઈ સતત આમનેસામને રહે છે.
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ
ખંધા ચીનની અવળચંડાઈ
ભારતે સરહદ પર સતત સતર્ક રહેવું પડશે
ભારતે આર્મી, એરફોર્સ અને નેવી એમ ત્રણેય સેનાના સૈનિકો અને ખતરનાક કમાન્ડોને પણ આ સમગ્ર વિસ્તારમાં તહેનાત કરી રાખ્યા છે. ફાઈટર જેટ રોજેરોજ ઉડાન ભરી રહ્યાં છે. ઘણા મહિનાનું રાશન તો અગાઉથી જ પહોંચાડી દેવામાં આવ્યું છે.
ચીન તરફથી તડામાર તૈયારીઓ શરૂ
ચીન તરફથી પણ કંઈક આવી જ તડામાર તૈયારી કરવામાં આવી છે. આપણા બહાદુર જવાનો લાંબા સમયથી શૂન્યથી પણ નીચા તાપમાને કાતિલ ઠંડીમાં તહેનાત છે, જ્યારે ચીનના સૈનિકોની દશા વધારે ખરાબ છે, કેમ કે તેમને આપણા જવાનોની જેમ માઈનસ ડિગ્રી તાપમાનમાં રહી ફરજ નિભાવવાનો કોઈ અનુભવ જ નથી. ચીનના સૈનિકો આ કારણે જ સતત અસ્વસ્થ બની રહ્યા છે.
તણાવ વચ્ચે મોલ્ડીમાં યોજાઇ બેઠક
તણાવ ઘટાડવા માટે ભારત અને ચીન તરફથી કોર કમાન્ડર સ્તરની વાતચીત ચુશુલ સેક્ટરના મોલ્ડીમાં થઈ હતી. અનેક મહિનાથી ચાલી રહેલા તણાવને દૂર કરવા આઠ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે. ગયા વર્ષની ૬ નવેમ્બરે બંને દેશની સેનાના અધિકારીઓની વાતચીત થઈ હતી. આટલી લાંબી વાતચીત બાદ પણ ચીન સુધરવા તૈયાર જ નથી.
ચીન ના તો આ વિસ્તારમાંથી પાછળ હટવા તૈયાર છે કે ના તે વિવાદ ઉકેલવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરી રહ્યું છે. ચીને ભારત તરફથી આ પ્રકારના આકરા વલણની અપેક્ષા ક્યારેય રાખી નહોતી અને આ કારણે જ તે પાછળ ધકેલાઈ રહ્યું છે.
બંને દેશો વચ્ચેના સંબંધ પર જામી ગયેલો નફરતનો આ બરફ પીગળે એ બહુ જરૂરી છે. વર્ષ ૧૯૬૨માં ચીને મેકમોહન લાઈન તોડીને ભારતની સરહદમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની સેનાની તાકાત પર પંડિત જવાહરલાલ નહેરુ સાથે કરેલી દોસ્તી અને વિશ્વાસના સંબંધને તોડ્યો હતો. ભારતને આઝાદ થયાને એ વખતે માંડ ૧૩ વર્ષ થયાં હતાં અને અલગ પડેલા પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદની સુરક્ષા કોઈ નાનો પડકાર નહોતી. એ સમયે પાકિસ્તાનમાં સેનાનું શાસન હતું અને સેનાના શાસકો ભારતને કોઈ પણ ભોગે તોડવા ઈચ્છતા હતા.
ભારતે સરહદ પર સતત સતર્ક રહેવું પડશે
આટલાં વર્ષ પછી પણ ચીન કે પાકિસ્તાન સહેજ પણ સુધર્યાં નથી અને ભારતે સરહદ પર સતત સતર્ક રહેવું પડે છે. અરુણાચલ પ્રદેશમાં ચીને કરેલી ઘૂસણખોરી આવું જ એક કૃત્ય છે.ચીન અરુણાચલથી લઈ ડોકલામ અને ગલવાન ઘાટી સુધી ભારતીય સરહદી ક્ષેત્રમાં પડતા વિસ્તાર પર કબજો જમાવવાની વર્ષોથી કોશિશ કરતું આવ્યું છે. આ વિસ્તારને વિવાદિત સાબિત કરી ભારતનો ત્યાં પ્રવેશ રોકવાનું કાવતરું પણ ચીને રચ્યું છે. અરુણાચલ પ્રદેશના લોકો પહેલાંથી જ ચીનના પોકળ દાવાના કારણે ભાવનાત્મક રીતે આઘાત પામ્યા છે. ભારતને ભૌગોલિક દૃષ્ટિએ તોડવાની ચીનની તમામ ખંધી ચાલ હવે ઉઘાડી પડી રહી છે અને ભારત દરેક મોરચે અવલ સાબિત થઈ રહ્યું છે.
ચીન વૈશ્વિક સ્તરે સાવ એકલું પડ્યું
હવે સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે શું બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણા અને વાતચીત આ રીતે જ કોઈ પરિણામ વગર જ ચાલતી રહેશે અને ચાલાક ચીન વારંવાર પોતાનાં ષડ્યંત્રને અંજામ આપતું જ રહેશે કે તે અટકશે? કૂટનીતિના મર્મજ્ઞ માને છે કે આ સ્થિતિ ક્યારેક યુદ્ધ સુધી પણ પહોંચી શકે છે. જો ભવિષ્યમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધની આશંકાઓ વધી તો વૈશ્વિક સમીકરણ પણ હવે પહેલાં જેવાં નથી રહ્યાં એ વાત બધાંએ યાદ રાખવી જોઈએ. ચીનની આંતરરાષ્ટ્રીય છબી સંપૂર્ણ રીતે માનવતા વિરોધીની બની ચૂકી છે. આવા સંજોગોમાં ચીનનું આક્રમક વલણ જ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ભારત આ વખતે ચીન સાથેના વિવાદમાં બહુ ગણતરીપૂર્વક અને કૂટનીતિથી આગળ વધી રહ્યું છે. ચીનને આંતરરાષ્ટ્રીય મોરચે ઘેરવા માટેની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ચીન પણ યુદ્ધની ભયાનકતા અને તેનાં દુષ્કર પરિણામોથી સારી રીતે વાકેફ છે અને તે ભારતની શક્તિઓને પણ ઓળખે છે.
કોરોના મહામારી બાદ ચીન વૈશ્વિક સ્તરે સાવ એકલું પડી ગયું છે અને અમેરિકા તેની સામે મજબૂત મોકાની જ તલાશમાં છે. આવા સંજોગોમાં ચીન કોઈને પણ મોકો આપે તેટલું મૂરખ તો નથી જ. ભારત સાથેના સંબંધો શાંતિપૂર્ણ બનાવી રાખવા સિવાય ચીન પાસે હાલની સ્થિતિએ બીજો કોઈ વિકલ્પ જ નથી. •