ભારત સરકારમાં કેન્દ્રીય સ્તરે મોટા પાયે સિનિયર અધિકારીઓની બદલીના ગંજીફા ચીપાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે આ મહિને કેન્દ્ર સરકારના 7થી વધારે સેક્રેટરી પદના અધિકારીઓ વયમર્યાદાના પગલે નિવૃત થવા જઈ રહ્યા છે.
આ અધિકારીઓમાં આરોગ્ય સચિવ પ્રીતિ સુદાન અને અર્થવ્યવસ્થાના સચિવ અતાનુ ચક્રબૉર્તીનો સમાવેશ થાય છે. આ બંને અધિકારીઓ કોવિડ 19ની ચાલી રહેલી મહામારીમાં દેશમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પગલે PMO તેમને ઍસ્કટેનશન આપશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.
શિપિંગના સેક્રેટરી ગોપાલ કૃષ્ણ, મહિલા અને બાળ વિકાસ સેક્રેટરી રવિન્દ્ર પનવર અને પેટ્રોલિયમ સેક્રેટરી એમ એમ કુટ્ટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત MSMEના સેક્રેટરી પણ નિવૃત થઇ રહ્યા છે. સેક્રેટરી સંજીવની કુટ્ટી પણ સેવામાંથી નિવૃત્ત થઇ રહ્યા છે. આ સ્તરની બદલીઓ આવતા અઠવાડિયે થઇ શકે તેવી સંભાવના છે.
PMOમાં સેક્રેટરી PMOની પોસ્ટ પણ ખાલી છે. આ મહત્વના પદ માટે PM મોદીના વિશ્વાસુ અને 1988ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે જે અત્યારે એડિશનલ સેક્રેટરી છે અને એમ્પેનલમેન્ટ મળી ચૂક્યું છે. આ ઉપરાંત 1988ની બેચના હરિયાણા કેડરના IAS અધિકારી તરુણ બજાજને પણ એમ્પેનલમેન્ટ મળી ચૂક્યું છે. તેમને PMOમાં રાખે છે કે સચિવ તરીકે કોઈ ખાતું આપે છે તે જોવાનું રહ્યું.
આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે ગુજરાત કેડરના IAS અધિકારી અનિતા કરવાલ જે અત્યારે CBSEના ચેરપર્સન છે તેમને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે મુકવામાં આવી શકે છે. તેમને પણ એમ્પેનલમેન્ટ મળી ચૂક્યું છે.
નોંધનીય છે કે અત્યારે રાજ્યની કેડરમાં કામ કરી રહેલા કુલ 28 IAS અધિકારીઓને ડેપ્યુટેશન પર કેન્દ્રમાં કામ કરવા માટેનું એમ્પેનલમેન્ટ આપવામાં આવ્યું છે જે અધિકારીઓમાંથી કેટલાકને કેન્દ્રના મહત્વના ખાતાઓના સચિવ તરીકેનું પદ આપવામાં આવશે