ભારતે નેપાળ અને બાંગ્લાદેશને મોટો ઝટકો આપ્યો છે. ભારતે આ દેશમાંથી કરવામાં આવનારી 3 લાખ ટનથી વધુ રિફાઇન્ડ પામ ઓઇલની આયાતની મંજૂરી રદ્દ કરી દીધી છે. દક્ષિણ એશિયાઇ મુક્ત વેપાર સમજૂતિ(સાફ્ટા) હેઠળ, નેપાળ અને બાંગ્લાદેશે ભારતને પામ ઓઇલ વેચવા માટે આયાત શુલ્ક ચૂકવવો પડતો નથી.
નેપાળની સાથે બાંગ્લાદેશને પણ ભારતે આપ્યો ઝટકો
પામ ઓઇલના આયાત પર લગાવી રોક
જો કે, દક્ષિણ એશિયાઇ મુક્ત વેપાર સમજૂતિની જરૂરી શરત મુજબ, બંન્ને દેશો પોતે પામ ઓઇલનું ઉત્પાદન કરતા નથી. જેના કારણે ભારતે આયાતને રદ્દ કરવાનું કડક પગલું ભર્યું છે.
સાફ્ટાની કેટલીક જોગવાઇઓનો દુરઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું
નેપાળ અને બાંગ્લાદેશથી પામ ઓઇલ, મસાલા અને ટાયર સહિત કેટલીય વસ્તુઓ પર આયાત શૂલ્ક નથી લાગતો કારણ કે તેમાં સાફ્ટાની કેટલીક જોગવાઇઓનો દુરઉપયોગ કરવામાં આવે છે. આયાતમાં ગરબડ એવી છે કે, આ બંન્ને દેશ પોતે આ ચીજનું ઉત્પાદન કરતા નથી. કેટલાય લાલચી આયાતકારો અને વેપારીઓ પોતાનો સામાન આ દેશો દ્વારા ભારતને વેચવાનો પ્રયાસ કરે છે જેથી મુક્ત વેપાર સમજૂતી હેઠળ આ દેશોને આયાત શુલ્ક મળવાની છૂટ હાંસલ કરી શકે.
ભારત સરકારે લીધો મોટો નિર્ણય
સાફ્ટા સમજુતીમાં સામેલ કેટલાય દેશોમાં અન્ય જગ્યાએથી આવેલ સામાન પર ઓછું શુલ્ક અથવા શુલ્ક વગર જ આયાત કરવામાં આવે છે. ભારતીય વેપારી બીવી મહેતાએ રોયટર્સ એજન્સીને જણાવ્યું કે, આટલા વર્ષોથી નેપાળ અને બાંગ્લાદેશથી ઉત્પાદનના સ્ત્રોતના નિયમનું ઉલ્લંઘન કરતા પામની આયાત કરવામાં આવતું હતું. નિયમ મુજબ, માલનું ઉત્પાદન પણ તે જ દેશમાં થવું જોઈએ જ્યાંથી નિકાસ થઈ રહી છે. આખરે કેન્દ્ર સરકારે આવી આયાતને કડક બનાવવા માટે પગલું ભર્યું છે. "
39 લાયસન્સ કરાયા રદ્દ
આ દેશોમાંથી પામ ઓઇલ આયાત કરવા માટેના 39 જેટલા લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. જેમાંથી વધારે લાયસન્સ પશ્મિમ બંગાળ અને બિહારના આયાતકારોના હતા. આ પરમિટ દ્વારા સૌથી વધુ આયાત નેપાળથી કરવામાં આવતી હતી. 3 લાખ ટન પામ ઓઇલ પૈકી 2.93 લાખ ટન નેપાળ અને 12 હજાર ટન પામ ઓઇલ બાંગ્લાદેશથી ખરીદવામાં આવતું હતું.
સ્થાનિક રિફાઇનરીઓને મળી શકે મોકો
કેન્દ્ર સરકાર પણ રિફાઈન્ડ કુકિંગ ઓઇલની આયાતને નિરાશ કરવા માંગે છે જેથી ઘરેલું રિફાઇનરીઓને તેમની ક્ષમતા વધારવાની તક મળી શકે. જાન્યુઆરીમાં સરકારે પામતેલની આયાત પ્રતિબંધિત સૂચિમાં મૂકી. આ પગલા પછી પામતેલની આયાત માટે DGFT (વિદેશ વેપારના મહાનિદેશક) ની મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં સરકારે ક્રૂડ પામ ઓઇલ પરની આયાત ડ્યૂટી વધારીને 44 ટકા અને રિફાઇન્ડ તેલ પર આયાત ડ્યૂટી વધારીને 54 ટકા કરી દીધી છે.
મલેશિયાને પહેલા જ ભારતે આપ્યો છે ફટકો
SIAના ડેટા અનુસાર નવેમ્બર અને એપ્રિલની વચ્ચે આરડીબી પામ ઓઇલની આયાતમાં 70 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કાચા પામ તેલ અને પામ કર્નલ તેલની આયાતમાં પણ આ સમયગાળામાં 14 ટકાનો ઘટાડો થયો હતો. વિશ્લેષકોનું માનવું છે કે રિફાઈન્ડ પામ ઓઇલની આયાતમાં ઘટાડો પણ ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોમાં ભંગાણને કારણે છે. ભારત મલેશિયાથી શુદ્ધ તેલ મોટા પાયે આયાત કરતું હતું, પરંતુ આર્ટિકલ 37૦ અંગે મલેશિયાના વલણે વેપારને અસર પહોંચાડી હતી.