નેપાળ સરહદ પર વસેલા ભારતીય ગામોમાં 'ડ્રેગન'નું નેટવર્ક ખતરનાક રીતે ફેલાઈ રહ્યું છે. આ વિસ્તારોમાં નેપાળી સિમકાર્ડનો ઉપયોગ ખુલ્લેઆમ થઈ રહ્યો છે. ભારતીય ક્ષેત્રમાં 10 કિલોમીટરના વિસ્તારમાં નેપાળી નંબરો પરથી સતત ફોન કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ પણ આ વાતથી ચોંકી ગઈ છે.
એજન્સીઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અંદાજે પાંચ હજાર ભારતીય લોકો હાલ નેપાળી સિમકાર્ડનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, તેમાંથી મોટાભાગના સિમકાર્ડ ચીનની કંપનીઓના છે, જે દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે. સીમા સુરક્ષાની દ્રષ્ટિએ કાયદાની એવી જોગવાઈ છે કે, ‘નો મેન્સ લેન્ડ’ એટલે કે માનવવિહિન પટ્ટીથી 500 મીટર પહેલા સુધી મોબાઈલ સિગ્નલ ન મળવા જોઈએ. આ માટે ટેલિકૉમ કંપનીઓને સરહદથી 10 કિલોમીટરની અંદર બેઝ ટ્રાન્સીવર સ્ટેશન (બીટીએસ) લગાવવા પર પ્રતિબંધ છે.
ભારતીય ક્ષેત્રમાં આ કાયદાનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ નેપાળી ક્ષેત્રમાં નિયમોને બાજુએ મૂકી દેવામાં આવ્યા છે. આથી મોતીપુર, મિહીપુરવા, રુપઈડીહા, બાબાગંજ, નવાબગંજ અને શ્રાવસ્તીના મલ્હીપુર સુધી નેપાળી ટેલિકૉમ કંપનીઓનું નેટવર્ક પકડાઈ રહ્યું છે. નેપાળમાં સરહદ પર વસેલા બાંકે, જૈસપુર, નિકટ કસ્ટમ ઓફિસ સહિત સરહદની સમાંતર મોટી સંખ્યામાં બીટીએસ ટાવર લગાવવામાં આવ્યા છે. આ ટાવર એનસેલ (ચીન), નમસ્તે અને સ્કાઈ (નેપાળ) કંપનીના છે. સરહદની આસપાસ તેમનું નેટવર્ક મજબૂત હોવાથી ભારતીય વિસ્તારોમાં સામાન્ય નાગરિક જ નહીં, પોલીસના જવાનો પણ નેપાળી સિમકાર્ડનો ઉપયોગ કરતા હોવાની વાત સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત-નેપાળ સરહદ ખુબ સંવેદનશીલ ગણાય છે. પાકિસ્તાનના કરાંચીનો રહેવાસી આતંકી મશરૂર અહીંથી જ પકડાયો હતો. આ ઉપરાંત સરહદ પર ફોટોગ્રાફી કરતા ચીનના ત્રણ નાગરિકોની પણ તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. સશસ્ત્ર સીમા બલ (એસએસબી)ની 42મી વાહિનીના ડેપ્યુટી કમાન્ડન્ટ શૈલેશકુમારે જણાવ્યું કે, ઈન્ટરનેશનલ રોમિંગ સર્વિસ ધરાવતું નેપાળી સિમકાર્ડ લઈને કોઈ વ્યક્તિ ભારતમાં આવે તો તેની વાતચીત કરવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ બોગસ કે નકલી દસ્તાવેજોના આધારે નેપાળી સિમ લઈને તેનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. દેશની સુરક્ષા માટે આ વાત ખુબ ચિંતાજનક છે.