સરકારે બ્રોકન રાઈસ(કણકી) એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આની સીધી અસર સમગ્ર વિશ્વમાં થવાની છે કારણ કે ભારત તૂટેલા ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.
સરકારનો કણકી ચોખાના નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ
દેશમાં વધી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા પ્રયાસ
ભારત કણકી ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે
કેન્દ્રની મોદી સરકાર દેશમાં વધી રહેલી મોંઘવારીને કાબુમાં લેવા માટે સતત મોટા પગલા લઈ રહી છે. આ કડીમાં સરકારે બ્રોકન રાઈસ(કણકી) એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આની સીધી અસર સમગ્ર વિશ્વમાં થવાની છે કારણ કે ભારત તૂટેલા ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. આ સાથે જ સરકારે વિવિધ પ્રકારના ચોખા પર 20 ટકા ડ્યૂટી લગાવવાનો પણ નિર્ણય કર્યો છે. ચોખાના વધતા ભાવોને નિયંત્રિત કરવા અને નબળા ચોમાસાના ભારતને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. જેના કારણે દુનિયામાં ખાદ્યાન્ન મોંઘવારી વધવાની સંભાવના વધી ગઈ છે.
દુનિયાપર સંકટ વધશે
નોંધપાત્ર વાત એ છે કે, ભારત સમગ્ર વિશ્વમાં લગભગ 150 દેશોમાં ચોખાની નિકાસ કરે છે. વિશ્વમાં ચોખાની ઉપલબ્ધતામાં ભારતનો હિસ્સો 40 ટકા છે. આવી સ્થિતિમાં આ નિર્ણયથી યુરોપના ઘણા દેશોમાં ગરમી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે પેદા થતી ખાદ્ય કટોકટી વધુ ઘેરી બની શકે છે. ભારત સરકાર દ્વારા ચોખાની વિવિધ જાતોમાં આયાત ડ્યૂટીમાં વધારાની સીધી અસર દુનિયાભરમાં ચોખાના ભાવ પર પડશે. તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણય બાદ થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પર ચોખાની નિકાસનું દબાણ વધુ વધશે. તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ બાદ ગરીબ આફ્રિકન દેશોમાં ખાદ્ય સંકટ આવી શકે છે. આ સાથે જ ચીન ભારતના તૂટેલા ચોખાનું મોટું ખરીદદાર છે. આવી સ્થિતિમાં, આગામી દિવસોમાં ચોખાની અછત થઈ શકે છે.
40 ટકા ચોખા ભારત પુરવાર પાડે છે
સમગ્ર વિશ્વમાં પૂરા પાડવામાં આવતા ચોખામાં ભારતનો હિસ્સો 40 ટકા છે. ત્યારબાદ થાઇલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને મ્યાનમારનો નંબર આવે છે. પાકિસ્તાનમાં પૂરના કારણે ગ્લોબલ સપ્લાય ચેનમાં પણ મોટો ફરક પડી શકે છે. આવી સ્થિતિમાં, વિશ્વના ઘણા દેશોમાં ચોખાની અછત થઇ શકે છે.
ચોખાની બે કેટેગરીની નિકાસ પર પ્રતિબંધ
દેશમાં ચોખાની કુલ ચાર કેટેગરીની નિકાસ થાય છે. સરકારે બે કેટેગરીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ પહેલાની જેમ બે કેટેગરીમાં એક્સપોર્ટ કરી શકાય છે. જે કેટેગરી માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી તે છે બાસમતી ચોખા અને નોન-બાસમતી ઉસના ચોખા. સરકારે નિકાસની જે કેટેગરી પર પ્રતિબંધ મૂક્યો છે તે સામાન્ય અને તૂટેલા ચોખા છે. સરકારે બાસમતી જેવા સારી ગુણવત્તાવાળા ચોખા પર ડ્યુટી વધારી નથી. આ ડ્યુટી સફેદ અને બ્રાઉન રાઇસ પર લાદવામાં આવી છે. ભારતમાં નિકાસ કરવામાં આવતા કુલ ચોખામાં સફેદ અને બ્રાઉન રાઈસનો હિસ્સો 60 ટકા છે.
સરકારે શા માટે પ્રતિબંધ મૂક્યો?
ભારતમાં હાલ ખરીફ સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, દેશના ઘણા ભાગો જેવા કે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. આવી સ્થિતિમાં ચોખાની ઉપજ ઓછી હોવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં દેશમાં લોકો માટે ચોખાની કોઈ અછત ન થાય, તેથી સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો અને સફેદ અને બ્રાઉન રાઇસની નિકાસ પર 20% ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે.