ભારતે ચીનની 59 મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુક્યો ત્યાર બાદ ચીન તેની સામે પ્રતિક્રિયા આપી છે. ચીને કહ્યું કે ભારતના આ પગલાંનો તેઓ સખત વિરોધ કરે છે અને આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોની વિરુદ્ધનું પગલું છે.
ભારતના ચીનના દૂતાવાસના એમ્બેસેડર જી રોન્ગે નિવેદન આપ્યું હતું કે ભારતનું આ પગલું ભેદભાવ ભર્યું છે જેમાં ચીનની એપ્સને નિશાન બનાવવામાં આવી છે. તેમના મતે આ પગલું અનિર્ણયાકતાભર્યું છે અને તે ભેદભાવરહિત અને પારદર્શક વ્યાપારની શરતોનો ભંગ કરે છે અને દેશની સુરક્ષાના બહાને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
આ નિર્ણય દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને કારણે લેવાયા છે: ભારત સરકાર
ભારતે ટિક ટોક, હેલો, વિચેટ સહિતની 59 ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ નિર્ણય દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને કારણે લેવાયા છે તેમ સરકારે જણાવ્યું છે. આ ઉપરાંત ઝેન્ડર, UC બ્રાઉઝર, કેમ સ્કેનર જેવી એપ્સ પણ બ્લોક કરવામાં આવી છે. આ પ્રતિબંધ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69A લાદવામાં આવ્યો છે.
ભારત પોતાની ભેદભાવ ભરી નીતિને પાછી ખેંચે
જી રોન્ગે આ મુદ્દે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ભારત તેના ચીન સાથેના વ્યાપારી સંબંધોની સુમેળતાની નોંધ લે અને પોતાની ભેદભાવ ભરી નીતિને પાછી ખેંચે. આ કરવાથી દેશ બંને દેશોના વ્યાપારી જોડાણો વધુ મજબૂત થશે અને બંને દેશોમાં થયેલા રોકાણો અને સર્વિસ પ્રોવાઇડર્સને સારું વાતાવરણ મળશે જેની સાથે સાથે એક પારદર્શક અને ન્યાયસભર ધંધાકીય વાતાવરણ બની રહેશે જેથી બંને દેશોના હિતો સચવાયેલા રહે.
ભારત ચીનના સરહદ વિવાદ બાદ લેવાયો છે આ નિર્ણય
તેમના મતે આ નિર્ણય આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ઈ કોમર્સના નિયમો સાથે મેળ ખાતો નથી અને તેનાથી ગ્રાહકોના હિતોને અને દેશમાં માર્કેટની સ્પર્ધાત્મકતાને નુકશાન પહોંચશે. નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદથી અને બંને દેશો વચ્ચે હાલમાં થયેલ લોહિયાળ સંઘર્ષ અને 20 સૈનિકોના મોતથી બંને દેશો વચ્ચેનો તણાવ વધ્યો છે.