સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમન્ના સંસદ અને વિધાનસભામાં ચર્ચાના અભાવ પર ચિંતા દર્શાવતા રવિવારે કહ્યું કે, આ દુ:ખજનક સ્થિતિ છે, કારણકે ગુણવત્તાયુક્ત ચર્ચા નહીં કરવાને કારણે કાયદાના ઘણાં પાસાઓ સ્પષ્ટ થતાં નથી અને કોર્ટો પર તેનું ભારણ વધે છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંસદમાં થતી ચર્ચા પર નારાજ
ચર્ચાના અભાવ પર દર્શાવી ચિંતા, કહ્યું, દુ:ખજનક સ્થિતિ
યોગ્ય ચર્ચા ના થતાં કોર્ટો પર તેનું ભારણ વધે છે
વિધાનસભામાં યોગ્ય મંથન થવુ જોઈએ
ચીફ જસ્ટિસે કહ્યું કે, કાયદા બનાવવાની પ્રક્રિયા દરમ્યાન એક વિસ્તૃત ચર્ચા કોર્ટમાં ચાલતા ખોટા દાવાને ઘટાડે છે. કારણકે જ્યારે કોર્ટ તેની વ્યાખ્યા કરે છે ત્યારે દરેક લોકો વિધાનસભાનો હેતુ સમજાય છે. ચીફ જસ્ટિસે 75મા સ્વતંત્રતા દિવસના પર્વ પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટના પ્રાંગણમાં આયોજીત સમારોહમાં કાયદા જગતના સભ્યોને જાહેર જીવનમાં ભાગ લેવા અને કાયદા અંગે પોતાના અનુભવ જાહેર કરવાનું જણાવ્યું છે. ચીફ જસ્ટિસ રમન્નાએ કહ્યું કે, દેશના લાંબા સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ વકીલોએ કર્યુ છે, પછી તે મહાત્મા ગાંધી હોય કે બાબુ રાજેન્દ્ર પ્રસાદ. તેઓ કાયદાના પંડિતો હતા. તેમણે પોતાની સંપત્તિ, પરિવાર અને જીવનનો ત્યાગ કર્યો અને આંદોલનનું નેતૃત્વ કર્યુ હતુ.
પહેલાં બંધારણીય સંશોધનો પર થતી હતી ચર્ચા
ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું, પ્રથમ લોકસભા અને રાજ્યસભાના મોટાભાગના સાંસદો વકીલ અને કાયદા ક્ષેત્રના સભ્યો હતા. અમે જાણીએ છીએ કે કાયદા અંગે ચર્ચાના સંબંધમાં સંસદમાં દુર્ભાગ્યપણે હવે શું થઈ રહ્યું છે. પહેલાં અલગ-અલગ બંધારણીય સંશોધનો અને તેના કારણથી લોકોને પડતી અગવડતાઓ અંગે સંસદમાં ચર્ચા થતી હતી.
સંસદમાં અત્યારની સ્થિતિ દુ:ખજનક
ચીફ જસ્ટિસે કહ્યું, હવે સ્થિતિ દુ:ખજનક છે. ચર્ચાના અભાવને કારણે કાયદો બનાવવાની પ્રક્રિયામાં ખૂબ અસ્પષ્ટતા હોય છે. અમે જાણતા નથી કે ધારાસભ્યોનો શું ઈરાદો હોય છે. અમે જાણતા નથી કે કાયદો કયા ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે. જેનાથી લોકોને યોગ્ય પ્રમાણમાં સુવિધા મળતી નથી. આવુ ત્યારે જ થાય જ્યારે કાયદા સમુદાયના સભ્યો સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં હોતા નથી.