ન્યૂઝીલેન્ડનાં પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની આજે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી. મેચમાં ટીમ ઈન્ડિયા 242 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ. ભારત તરફથી હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ અનુક્રમે 55, 54 અને 54 રન કર્યા હતા. જોકે મેચમાં કેપ્ટન કોહલીનો ફ્લોપ શો આજે પણ જોવા મળ્યો હતો. કેપ્ટન કોહલી પોતાની વિકેટ તો બચાવી ન શક્યા સાથે જ જ રીવ્યુ લઈને ટીમનું નુકસાન કરાવ્યુ. વિરાટ કોહલીનો રેકોર્ડ જોઈએ તો કોહલી પહેલેથી જ રીવ્યુ લેવામાં 'કાચા' પડે છે.
250 રનનો આંક પણ ન વટાવી શકી ટીમ ઈન્ડિયા
કેપ્ટન વિરાટ કોહલી માત્ર 3 રનમાં પવેલિયન ભેગા
વિરાટ કોહલીના ફ્લોપ શોથી ટીમની ચિંતામાં વધારો
વિરાટ કોહલી માટે ન્યૂઝીલેન્ડ પ્રવાસ એક ખરાબ સ્વપન સમાન છે. વિરાટ કોહલી ખૂબ લાંબા સમય બાદ આ રીતે એક એક રન માટે સંઘર્ષ કરતા દેખાયા. શ્રેણીની બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં વિરાટ કોહલી માત્ર 3 રન બનાવી પવેલીયન ભેગા થઇ ગયા. કોહલીએ વિકેટ તો ગુમાવી જ જે બાદ જતા જતા ટીમનું પણ મોટું નુકસાન કરાવ્યું. આજની મેચમાં સાફ દેખાઈ રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની રણનીતિ કોહલી સામે સફળ રહી.
કોહલીએ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં 10 ઇનિંગમાં માત્ર 204 રન બનાવ્યા. ટિમ સાઉદીની બોલ પર વિરાટ કોહલી એલબીડબ્લ્યુ આઉટ થઇ ગયા જે બાદ ઘણા ચાહકોની આશાઓ પર પાણી ફરી ગયું હતું. કોહલીએ મિડ વિકેટ પર શોટ રમવાના પ્રયત્ન કર્યા પરંતુ બોલ સીધી ફ્રન્ટ પેડ પર લાગી. બેટ અને બોલનો કોઈ સંપર્ક થયો ન હતો છતાં કોહલીએ છેલ્લી ઘડીએ રીવ્યુ લઇ લીધો. કોહલીનાં આ નિર્ણયથી ટીમને એક રીવ્યુનું પણ નુકસાન થયું.
વિરાટ કોહલી રીવ્યુ લેવામાં અવાર નવાર ભૂલ કરે છે. રીવ્યુ લેવામાં કોહલીનો રેકોર્ડ ખૂબ ખરાબ છે. ઘણી વખત અતિ આત્મવિશ્વાસમાં આવીને રીવ્યુ લે છે. કોહલીએ અત્યાર સુધી એલબીડબ્લ્યુમાં અત્યાર સુધી 13 વખત રીવ્યુ લીધા છે અને 13માંથી માત્ર 2 જ વખત તેઓ સાચા સાબિત થયા છે.