ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ સિરીઝની મોટાભાગની મેચો રમાશે વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમમાં. 1 ડે નાઈટ ટેસ્ટ અને 5 ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમાશે અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં.
ભારત-ઈંગ્લેન્ડનાં પ્લેયર્સને મેચો દરમિયાન બાયો બબલમાં રાખવામાં આવશે
અમદાવાદમાં 1 ડે નાઇટ ટેસ્ટ અને 5 ટી-20 મેચો રમાશે
પહેલી બે ટેસ્ટ માટે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવામાં નહીં આવે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી સિરીઝની બે ટેસ્ટ મેચ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં દર્શકો વગર રમાશે. અગાઉ બીસીસીઆઈએ કહ્યું હતું કે ભારત અને ઈંગ્લેન્ડની આ સિરીઝ માટે સ્ટેડિયમમાં 50ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. પણ તામિલનાડુ ક્રિકેટ એસોશિયેશનનાં(TNCA) સચિવ આર.એસ. રામાસ્વામીએ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શકો વગર મેચ રમાડવાનું નક્કી કર્યું છે.
TNCA બે મેચો માટે દર્શકને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપે
TNCAનાં સચિવે કહ્યું કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવનાં ઉપાય અંતર્ગત દર્શકોને બે ટેસ્ટ મેચો માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 20 જાન્યુઆરીએ એક સર્ક્યુલર મોકલીને TNCAનાં સભ્યોને આ નિર્ણય અંગે માહિતગાર કરવામાં આવ્યા છે જેમાં લખ્યુ છે કે બીસીસીઆઈની સાથે મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
27 જાન્યુઆરીએ ટીમો ચેન્નાઈ પહોંચી જશે
સર્ક્યુલર અનુસાર કોવિડ-19 મહામારીને લીધે બીસીસીઆઈએ ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ દરમિયાન ખેલાડીઓની સુરક્ષા જોખમાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બંને ટીમો 27 જાન્યુઆરી સુધી ચેન્નાઈ પહોંચી જશે અને ત્યારબાદ ખેલાડીઓને બાયો બબલમાં પ્રવેશ કરાવ્યા પહેલા તેમનું કોવિડ-19 પરિક્ષણ કરવામાં આવશે.
વિશ્વનાં સોથી મોટા સ્ટેડિયમમાં સૌપ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમાશે
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન ટેસ્ટ, ટી-20 અને વન-ડે મેચની સિરીઝનું આયોજન કરવામાં આવશે. જેમાંથી એક ટેસ્ટ મેચ ડે-નાઇટ રાખવામાં આવશે. જે ડે-નાઇટ મેચ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. તેમજ પાંચ ટી-20 મેચો પણ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં યોજવામાં આવશે. વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાનું નિર્માણ થયા બાદ સૌપ્રથમ વખત ત્યાં કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાશે. જેથી ક્રિકેટ રસિયામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.