ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી અને અંતિમ T-20 મેચમાં ભારતનો 36 વિજય થયો છે. આ સાથે જ ભારતે શ્રેણી કબજે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, T-20 મેચની 5 સીરિઝ માટેની આજની નિર્ણાયક મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં વિરાટ સેનાએ ઇંગ્લેન્ડની ટીમને 225 રનનો લક્ષ્ય આપ્યો હતો પરંતુ ઇંગ્લેન્ડની ટીમ તે પૂર્ણ કરી શકી નહોંતી અને 189 રનમાં સમેટાઇ હતી.
225 રનનો આપ્યો હતો લક્ષ્ય
કેપ્ટન વિરાટ કોહલીએ (અણનમ 80 રન, 52 બોલ, 7 ચોગ્ગા, 2 છગ્ગા) ની અણનમ અડધી સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને આ વિશાળ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી અને કેપ્ટનને સારો સપોર્ટ ઓપનર રોહિત શર્મા (64), સૂર્યકુમાર યાદવ (32) અને હાર્દિક પંડ્યા (અણનમ 39) આપ્યો હતો. પરિણામે,20 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને 224 ના સ્કોર સુધી પહોંચવામાં ટીમ ઇન્ડિયા સફળ રહી હતી.
કોહલી અને રોહિતની ધમાકેદાર બેટિંગ
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્માની પહેલી વિકેટ પડતા પહેલા બંન્ને ખેલાડીઓએ 94 રનની ભાગીદારી કરી હતી. બંનેએ પાવર-પ્લેની પ્રથમ છ ઓવરમાં ધમાકેદાર બેટિંગ કરીને પ્રથમ વિકેટ પડ્યા પહેલા 60 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ માત્ર 30 બોલમાં ધડાધડ અડધી ફટકારી હતી અને ત્યારબાદ તે કુલ 64 રન બનાવીને આઉટ થયો હતો.
ત્યારબાદ બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 17 બોલમાં 32 રન બનાવ્યા હતા. જો કે, આ જોરદાર ઇંનિંગ વચ્ચે જોર્ડને શાનદાર કેચ લગાવીને તેને આઉટ કર્યો હતો. છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યા અને કેપ્ટન વિરાટ કોહલીએ સાથે મળીને ભારતને એક એવા સ્કોર સુધી લાવી દીધું કે જે અંગ્રેજો માટે ગંભીર સાબિત થયું.
ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ
ઇંગ્લેન્ડના ખેલાડીઓની વાત કરવામાં આવે તો.... ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત જ ખરાબ થઇ હતી, કારણ કે, પ્રથમ ઓવરમાં જ ઇંગ્લેન્ડે મોટો ફટકો પડ્યો હતો. રોય ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. ત્યારબાદ બટર 52 રન બનાવીને આઉટ થયો હતો.
શાર્દુલ અને ભુવનેશ્વરે મેચને વિજય તરફ વાળી
ભારતીય ટીમના શાનદાર બોલર શાર્દુલ અને ભૂવનેશ્વરનો મેચને વિજય તરફ વાળવામાં મોટો હાથ રહ્યો હતો. શાર્દૂલે એક ઓવરમાં ઇંગ્લેન્ડના 2 ક્રિકેટર બેયરસ્ટો અને ડેવિડ મલાનને આઉટ કર્યા હતા. તો ભૂવનેશ્વરે ઇંગ્લેન્ડના બેટ્સમેન બટલરને આઉટ કર્યો હતો.