અમદાવાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ યોજાઇ જેમાં ભારતીય ટીમનો વિજય થયો છે જોકે મેચ બાદ પિચને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.
અમદાવાદના નવા સ્ટેડિયમમાં પહેલીવાર રમાઈ મેચ
ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત
મેચ બાદ પિચને લઈને શરૂ થયો વિવાદ
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ગઈ કાલે ટેસ્ટ મેચ પૂરી થયા બાદ જણાવ્યું, ''નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય હતી કે નહીં એ નિર્ણય લેવાનું કામ ખેલાડીનું નહીં, બલકે આઇસીસીનું છે.'' ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદ ટેસ્ટમાં ૧૧૨ રન અને ૮૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે ૧૦ વિકેટે ટેસ્ટ મેચ જીતી, પરંતુ જો રૂટે પીચને દોષ આપવાનું ઊચિત સમજ્યું નહોતું.
જો રૂટે કહ્યું, ''આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટ માટે અનુકૂળ પીચ અંગે વિચાર કરવો જોઈએ. મને લાગે છે કે આ પીચ ઘણી પડકારજનક હતી. આ પીચ બેટિંગ માટે બહુ જ મુશ્કેલ હતી, જોકે આનો નિર્ણય ખેલાડી નહીં કરે. આ આઇસીસીનું કામ છે.'' તેણે વધુમાં કહ્યું, ''એક ખેલાડી તરીકે અમને જેવી પણ પરિસ્થિતિ મળે તેમાં અમારે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે. મારી ટીમે પહેલી ઇનિંગ્સમાં મોટો સ્કોર નોંધાવવાની તક ગુમાવી દીધી. અમે નિરાશ છીએ. મને લાગે છે કે અમે તકો ગુમાવી-ખાસ કરીને પ્રથમ ઇનિંગ્સમાં. અમારો સ્કોર એક સમયે એક વિકેટે ૭૧ રન હતો અને અમારી પાસે મોટો સ્કોર નોંધાવવાની સારી તક હતી.''
‘આ તો દર્શકો સાથે વિશ્વાસઘાત કહેવાય’ :
શરમજનક પરાજય બાદ નિરાશ દેખાઈ રહેલા કેપ્ટન જો રૂટે કહ્યું, ''મને લાગે છે કે જે દર્શકો મેચ જોવા આવ્યા છે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે અને તેઓ ખુદ લૂંટાઈ ગયા હોવાની લાગણી અનુભવી રહ્યા હશે. આ શરમજનક વાત છે, કારણ આ એક શાનદાર સ્ટેડિયમ છે અને લગભગ ૬૦,૦૦૦ દર્શક એ જ આશા સાથે સ્ટેડિયમમાં આવ્યા હતા કે તેમને એક યાદગાર મેચ જોવા મળશે. મને લાગે છે કે તેમની સાથે વિશ્વાસઘાત થયો છે.''
‘ઈંગ્લેન્ડમાં અમે બહુ સારી વિકેટ તૈયાર કરીશું’ :
જો રૂટે એવી વાતો નકારી કાઢી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે ઓગસ્ટમાં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે ત્યારે ત્યાં લીલીછમ પીચ બનાવીને અમદાવાદ ટેસ્ટનો બદલો લેવામાં આવશે. રૂટે આ અંગે કહ્યું, ''ઈંગ્લેન્ડ બહુ જ સારી પીચ બનાવશે, જોકે તેમાં ફાસ્ટ બોલર્સનો દમ જરૂર જોવા મળશે. સક્ષમ ટીમ દુનિયામાં કોઈ પણ મેદાનમાં રન બનાવી શકે છે.''