ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે ટૂંક સમયમાં ટેસ્ટ શ્રેણી શરુ થવાની છે, આ મેચ પહેલા પ્રેક્ટીસ મેચ રમવામાં આવી હતી જેમાં પિન્ક બોલનો ઉપયોગ થયો, જોકે આ મેચ થાય તે પહેલા ટીમ સામે ત્રણ મોટી સમસ્યા ઉભી થઇ છે.
રોહિત શર્મા શરૂઆતની બંને ટેસ્ટમાં રમવાનો નથી
રિદ્ધિમાન સાહા અને ઋષભ પંતમાંથી કોને વિકેટકિપર બનાવવો તેના પર અસમંજસ
અશ્વિનને ટીમમાં લેવો કે ફાસ્ટ બોલરને ઉતારવો તેના પર પણ મંથન જરૂરી
ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણી પહેલાં ટીમ ઇન્ડિયા પોતાની બંને પ્રેક્ટિસ મેચ રમી ચૂકી છે, જેમાં બીજી પ્રેક્ટિસ મેચ પિન્ક બોલથી રમાઈ હતી ડે-નાઇટ ફોર્મેટમાં રમાઈ હતી, કારણ કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ૧૭ ડિસેમ્બરથી પિન્ક બોલ ટેસ્ટ રમવાની છે. આ ડે-નાઇટ ટેસ્ટ પહેલાં ભારતીય ટીમ સામે ત્રણ મોટા સવાલ મોં ફાડીને ઊભા છે, જેનો જવાબ મળવો જરૂરી છે.
પહેલો સવાલઃ ઓપનિંગ જોડીમાં કોણ?
રોહિત શર્મા શરૂઆતની બંને ટેસ્ટમાં રમવાનો નથી. આ સ્થિતિમાં મયંક અગ્રવાલની સાથે ઇનિંગ્સની શરૂઆત કયો બેટ્સમેન કરશે એ જોવું દિલચસ્પ બની રહેશે. હાલમાં બીજા ઓપનર તરીકે શુભમન ગિલ અને પૃથ્વી શો વચ્ચે સ્પર્ધા છે. જોકે આ બંને ખેલાડી હજુ સુધી મોટો સ્કોર નોંધાવી શક્યા નથી. શુભમને એક-બે સારી કહી શકાય એવી ઇનિંગ્સ જરૂર રમી છે.
બીજો સવાલઃ વિકેટકીપર કોણ?
ધોનીની નિવૃત્તિ બાદ ટેસ્ટ ક્રિકેટમાં રિદ્ધિમાન સાહા અને ઋષભ પંતને તક આપવામાં આવી રહી છે. આ વખતે બંને ખેલાડી ટીમનો હિસ્સો પણ છે. આ બેમાંથી કોને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાશે એ પણ એક ચર્ચાનો વિષય છે. તાજેતરમાં રમાયેલી બે પ્રેક્ટિસ મેચમાંથી એકમાં સાહાનું બેટ ચાલ્યું હતું તો બીજી મેચમાં પંતે સદી ફટકારી હતી.
ત્રીજો સવાલઃ રવિચંદ્રન અશ્વિન કે પછી વધારાનો ફાસ્ટ બોલર?
ભારતીય ટીમ મેનેજમેન્ટ સામે પિન્ક બોલ ટેસ્ટ શરૂ થાય એ પહેલાં એક મોટો સવાલ એ છે કે અંતિમ ઈલેવનમાં આર. અશ્વિનને તક આપવી કે પછી વધારાના ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઊતરવું. જો રવીન્દ્ર જાડેજા ફિટ થઈ જશે તો પછી તેની સાથે રવિચંદ્રન અશ્વિન અંતિમ ઈલેવનમાં હશે કે પછી ચાર ફાસ્ટ બોલર સાથે ટીમ મેદાનમાં ઊતરશે એ જોવું રહ્યું.