ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી-૨૦માં માથામાં ઈજા (concussion) અને હેમસ્ટ્રિંગની ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાં ટીમની બહાર રહી શકે છે. નોંધનીય છે કે ભારતના બીજા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી.
પોતાની કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવાની જઈ રહેલ જાડેજા ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. આ સમયગાળાની ૧૭ ડિસેમ્બરની એડિલેડની પ્રથમ ટેસ્ટ મેચ તે ગુમાવી શકે છે. આ સિવાય જો હેમસ્ટ્રિંગની ઈજા ગંભીર હોય તો તે ૨૬ ડિસેમ્બરથી મેલબોર્નમાં શરૂ થનારી બોક્સીંગ ડે ટેસ્ટથી પણ બહાર રહી શકે છે.
ખેલાડીને માથામાં ઈજા થવાને કારણે સાત થી દસ દિવસનો આરામ આપવામાં આવે છે
BCCIના એક સૂત્રએ જણાવ્યું કે ICC કન્કશન પ્રોટોકોલ અંતર્ગત ખેલાડીને માથામાં ઈજા થવાને કારણે સાત થી દસ દિવસનો આરામ આપવામાં આવે છે જેથી જાડેજાને ૧૧ ડિસેમ્બરની બીજી પ્રેક્ટિસ મેચ રમી નહીં શકે. સૂત્રએ એમ પણ કહ્યું કે, ટીમ મેનેજમેન્ટ પ્રેક્ટિસ મેચ રમ્યા વગર તેને પ્રથમ ટેસ્ટમાં મેદાનમાં ઉતારે તે અશક્ય છે. એવું માનવામાં આવે છે કે કન્કશનથી વધારે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે જાડેજા એક ટેસ્ટ માટે બહાર રહી શકે છે.
હેમસ્ટ્રિંગ્સમાંથી રીકવર થવામાં સમય લાગી શકે છે
ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની પ્રથમ પ્રેક્ટિસ મેચની કોમેન્ટ્રી દરમિયાન એક કમેંટેટરે ખુલાસો કર્યો હતો કે જાડેજા હેમસ્ટ્રિંગના કારણે ત્રણ અઠવાડિયા માટે ક્રિકેટની બહાર રહેશે. જો કે, બોર્ડના સૂત્રએ જણાવ્યું હતું કે તે કન્કશનથી સ્વસ્થ થઈ રહ્યો છે પરંતુ હેમસ્ટ્રિંગ્સમાંથી રીકવર થવામાં સમય લાગી શકે છે. જો જાડેજા નહીં રમે તો પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કરનાર ભારતીય ટીમમાં આર અશ્વિન એકમાત્ર સ્પિનર હશે.