ભારતમાં પેરા મિલિટરીના જવાનો ફરજ બજાવવા માટે દોજખ જીવન જીવે છે એ વાત જાણીતી છે. કપરી અને અમાનવીય પરિસ્થિતિમાં પરિવારથી દૂર લાંબા સમય સુધી રહેતા જવાનો કાળક્રમે માનસિક તણાવ અને હતાશાનો ભોગ બને છે અને પરિણામે આત્મહત્યા, પોતાના દળ ઉપર ગોળીબાર કરવો, રાજીનામું આપવું વગેરે ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.
બુધવારે છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના કાદેનાર કેમ્પની ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની 45મી બટાલિયનના જવાન દ્વારા થયેલા અંદરોઅંદરના ગોળીબારમાં 6 જવાનો મૃત્યુ પામ્યા હતા જયારે 2 ઘાયલ થયા હતા. ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસને બસ્તર જિલ્લામાં માઓવાદીઓનો સામનો કરવા માટે ખડકી દેવાઈ છે.
જવાનો અને તણાવ
2016 થી 2018ની વચ્ચે દર વર્ષે સરેરાશ 100 જેટલા ITBP, BSF, CRPF, CISF, SSB, આસામ રાઈફલ્સ એમ 6 પેરામિલિટરી ફોર્સીસના જવાનોના આત્મહત્યા અથવા પોતાના જ દળના વ્યક્તિએ કરેલા ગોળીબારના કારણે મૃત્યુ થયા છે. આ તુલનામાં દુશ્મનો સાથેની અથડામણમાં મૃત્યુ પામતા જવાનોની સંખ્યા વાર્ષિક સરેરાશ 66 જેટલી છે.
શા માટે આ આટલો તણાવ રહે છે?
આ તણાવ માટે મુખ્ય કારણોમાં 1. જોખમી જગ્યાઓ પર લાંબા સમય સુધી તહેનાત રહેવું 2. પરિવારથી લાંબા સમય માટે અચોક્કસ સમય માટે દૂર રહેવું 3. ડ્રગ્સ અને આલ્કોહોલ વ્યસન 4. સર્વિસમાં સિનિયર સાથે અથવા સાથીઓ વચ્ચેની સમસ્યાઓ વગેરેને જવાબદાર ગણાય છે.
આશ્ચર્યજનક રીતે 2016 સુધીની આવી ઘટનાઓની 71% ઘટનાઓ છત્તીસગઢમાં થઇ હતી. નિષ્ણાતોના મતે ઉપર દર્શાવેલ તમામ કારણો એકબીજા સાથે ભેગા થઇને તણાવગ્રસ્ત પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
દળ છોડીને જઈ રહ્યા છે જવાનો
2015થી સેન્ટ્રલ પેરામિલિટરી છોડી જનાર જવાનોની સંખ્યામાં ચોંકાવનારો 5 ગણો ઉછાળો નોંધાયો છે. 2017માં તોતિંગ 14,587 જેટલા જવાનોએ પોતાની પોસ્ટ ઉપરથી વોલન્ટરી રિટાયરમેન્ટ લઇ લીધું હતું. આ આંકડો 2015 ફક્ત 3422 જેટલો હતો. આ માટે અંગત કારણો અને ઘરની પરિસ્થિતિને તેમણે જવાબદાર ગણાવી હતી.