ગુજરાતીમાં એક કહેવત છે કે સોનું એવી ધાતુ છે જેને ક્યારેય કાટ ન લાગે. સોનાની વાત આવે ને ઘણાની આંખમાં ચમક આવી જાય છે. હમણાં પાછો ધનતેરસનો પવિત્ર દિવસ આવ્યો છે. આ દિવસે આપણે જોઈએ કે કેવી રીતે ભારત સરકારની સોનાની આયાત ઉપર વધતી ડ્યુટીએ દેશને ગરીબ બનાવ્યો છે અને આસપાસના દેશોને પૈસાદાર બનાવ્યા છે.
સોનું એક એવી ધાતુ છે જે સ્મગ્લર્સ એટલે કે દાણચોરોની ફેવરિટ છે. 2013માં UPA સરકારે સોનાની આયાત ઉપર 10% ડ્યુટી લાદી દીધી. આ માટે તેમનો ઉદ્દેશ એવો હતો કે વધુ ડ્યુટી હોવાથી દેશમાં સોનાની આયાત ઘટશે પરિણામે આયાત નિકાસના સમીકરણ પ્રમાણે દેશની વ્યાપારી ખાધમાં ઘટાડો થશે.
જો કે 5%થી વધુ આયાત પરની ડ્યુટી હંમેશા દાણચોરોને સોનાનું સ્મગલિંગ કરવા માટે આકર્ષે છે. સોનું ઓછા જથ્થામાં હોવા છતાં વધુ કિંમત ધરાવે છે. ઓછા જથ્થાને કારણે સોનાને એરપોર્ટમાંથી, મુસાફરો વડે, ગુડ્સ કેરિયરમાં વગેરે વિવિધ રીતે સ્મગ્લ કરવું ખુબ સહેલું છે. ભારતમાં સોનું ભારતના આશરે 7500 કિમી લાંબા અસુરક્ષિત દરિયાકિનારાના કારણે સ્મગ્લ કરવા વધુ સહેલું બની જાય છે.
દરોડા પાડીને પકડાતું સોનું કુલ દાણચોરી થતા સોના કરતા ઘણું ઓછું
ભારત સરકારે ૩ ફેબ્રુઆરી 2017માં લોકસભામાં જણાવ્યું હતું કે ઈન્ક્મ ટેક્સ વિભાગ વડે વારંવાર છાપા મારવામાં આવે છે પરંતુ આમાં પકડાતું સોનું કુલ દાણચોરી થયેલા સોના કરતા ઘણું ઓછું હોય છે.
ઉપરના પરિપત્ર મુજબ મુજબ 2013 થી 2016માં કુલ 7103 કિલો સોનું જપ્ત થયું હતું. આ જપ્ત થયેલા સોના પૈકી મોટા ભાગનું સોનુ દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાંથી મળી આવ્યું હતું.
ભારત સરકારે 31 માર્ચ 2017માં એમ પણ જણાવ્યું હતું કે ભારત જેવા મોટા દેશમાં સોનાની કુલ માંગ કેટલી છે તે જાણવું અશક્ય છે પણ એક અંદાજ મુજબ આ માંગ વાર્ષિક 800 થી 900 ટન જેટલી હોઈ શકે છે.
ચિદમ્બરમના આ પગલાંના કારણે સોનાની દાણચોરી વધી. ત્યારબાદ સોનાની આયાત ડ્યુટી વધીને 12.5% થઇ અને હવે GST સાથે 15.5% થઇ ગઈ છે. સોનાની દાણચોરી પહેલા કરતા પણ વધુ આકર્ષક થઇ ગઈ છે.
આ સોનું ક્યાંથી આવે છે?
બિનસત્તાવાર માહિતી પ્રમાણે આ સોનું નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશની સરહદોથી તથા દરિયાઇ માર્ગથી મલેશિયા, થાઈલેન્ડ વગેરે જેવા દેશોમાંથી ભારતમાં ઠલવાય છે.
નીચેના કોષ્ટક પરથી જોઈ શકાય છે કે શ્રીલંકા, થાઈલેન્ડ જેવા દેશોમાં જ્યાં સ્થાનિક બજારમાં સોનાની માંગ પણ નથી ત્યાં મોટા પ્રમાણમાં સોનું આયાત કરવામાં આવે છે. આ સોનું વધુ સોનાની માંગ ધરાવતા દેશો જેવા કે ચીન અને ભારતમાં દાણચોરી સ્વરૂપે પધરાઈ દેવામાં આવે છે તેવી શંકા સેવાઈ રહી છે.
ભારતમાં કેમ સોનાની માંગ આટલી વધુ?
ભારત જેવા દેશોમાં સોનું એક સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે. સ્ત્રીઓ આભૂષણોમાં સોનાનો ઉપયોગ કરે છે. ધાર્મિક ધોરણે સોનાને લક્ષ્મીજી ગણવામાં આવે છે.
દુનિયામાં રૂપિયા સહિત અલગ અલગ કરન્સી નબળી પડી રહી છે. એવા સમયે સોનું ફરી એક વખત રોકાણ માટે સારો વિકલ્પ બન્યું છે.
આ વિશચક્રની અર્થતંત્ર ઉપર શું અસર આવે છે?
કરુણતા એ છે કે વ્યાપારી ખાધ ઘટાડવાના ચક્કરમાં સરકારે દાણચોરો માટે મોકળો માર્ગ કરી આપ્યો છે. આ કારણથી સોનાની ગેરકાયદેસર આયાત વધી છે. પરિણામે રૂપિયાના મૂલ્યને ઘસારો પહોંચી રહ્યો છે જેની સીધી અસર રૂપે દેશમાં મોંઘવારી વધે છે જેથી દેશમાં ખરીદશક્તિ ઘટે છે અને લાંબા ગાળે દેશ ગરીબીની ગર્તામાં ઘસડાય છે.
આ ઉપરથી એવું ચોક્કસ કહી શકાય કે સરકારે સોનાની નીતિમાં મોટા પાયે ફેરફારો કરવા પડશે.